ભાવનગરઃ જ્વેલરી પાર્કની જાહેરાત પર દોઢ દાયકાની ધૂળ જામી ગઈ ! નિરાશ રત્ન કલાકારો સ્થળાંતરનાં માર્ગે
રાજ્યમાં સુરત બાદ ભાવનગરમાં(Bhavnagar) રત્ન કલાકારો વસે છે પરંતુ અહીં જેમ્સ જ્વેલરીની જાહેરાતને 15 વર્ષથયા બાદ પણ તે અંગે કોઈ નક્કર કામ થયું નથી.
(Bhavnagar)ભાવનગર શહેર અને જિલ્લામાં વિવિધ પ્રકારના હીરા બનાવતા નાના-મોટા અસંખ્ય કારખાનાઓ આવેલા છે. જોકે હીરા ઉદ્યોગની માળખાગત સુવિધાના અભાવને પગલે રત્ન કલાકારોને મૂળ વતનથી દૂર સુરત વસવાટ કરવા મજબૂર બનવું પડે છે. ત્યારે રત્ન કલાકારો (Gem artists)અને હીરા ઉદ્યોગ (Diamond industry)એસોસિયેશનની માંગ છે કે જેમ સુરતમાં ડાયમંડ બુર્સ બન્યો તેમ ભાવનગરમાં જેમ્સ જવેલરી પાર્કનું સત્વરે નિર્માણ કરવામાં આવે.રાજ્યમાં સુરત બાદ ભાવનગરમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો વસે છે, પરંતુ અહીં જેમ્સ જ્વેલરીની જાહેરાતને 15 વર્ષ થયા બાદ પણ તે અંગે કોઈ નક્કર કામ થયું નથી.
સુરતમાં હીરાના મોટા વેપારીઓ ભાવનગરમાં પરત આવીને મોટી રોજગારી ઊભી કરવા માંગે છે અને પોતાના કારખાનાઓ સ્થાપવા માગે છે.પરંતુ આ બધું તો શક્ય બને જો ભાવનગરમાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવામાં આવે. નોંધનીય છેકે સરકાર દ્વારા ભાવનગરમાં વર્ષ 2007માં જ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક સ્થાપાવની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આટલા વર્ષો વિતી ગયા છતાં આ પાર્ક બનાવવા અંગે કોઈ પગંલા લેવામાં આવ્યા નથી.
પાર્ક બને તો એક છત હેઠળ અનેક ફાયદા
જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બને તો પાર્ક બનતા એક જ સ્થળે હીરાની ઓફીસો ઊભી થાય
હીરાને લગતા નાના મોટા વેપારીઓ એક જગ્યાએ વેપાર માટે મુલાકાત કરી શકે.
હીરાની અને રોકડની પણ ખૂબ જ મોટી સિક્યુરિટી ઉભી થતા ઉદ્યોગકારો તેમજ રત્નકલાકારોની ચિંતા ઓછી થાય.
અમરેલી, બોટાદ, ભાવનગરના નાના કારખાનેદારોને કાચો માલ ખરીદવામાં સરળતા રહે.
આ રત્ન કલાકારો સુરત મુંબઈ જતા હોય છે તેમના સમય અને નાણાંની પણ બચત થાય.
જો ભાવનગરમાં નવાં કારખાનાં ઊભાં થાય તો આસપાસના નાના ગામડાઓમાં અને તાલુકાઓમાં પણ રત્નકલાકારોને ખૂબ જ મોટી સંખ્યામાં રોજગારી મળવાની પૂરી શક્યતાઓ રહેલી છે
કોંગ્રેસે કર્યા આક્ષેપ
કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાવનગરમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે 2007થી સરકારે મોટા દાવા કર્યા છે. અને જહાંગીર મિલની જગ્યામાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કની જાહેરાત થયાને પણ 15 વર્ષ થઈ ગયા, પરંતુ ભાવનગરવાસીઓનું સ્વપ્ન હજી સાકાર થયું નથી.
ડાયમંડ એસોસિયેશનને ચૂંટણી પહેલા કામ થવાની આશા
તો પ્રમુખ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ભાવનગરવાસીઓ વર્ષોથી ડાયમંડ ક્ષેત્રે કોઈ મોટી તક સર્જાય તેની રાહ જોઈ રહ્યાં છે.આ મુદ્દે સ્થાનિક હીરા એસોસિએશન, ડાયમંડ કારીગર એસોસિએશન સહિત ઉદ્યોગકારોએ વારંવાર રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે હવે હવે ચૂંટણીઓ નજીક છે ત્યારે નેતાઓ આપેલા વચન પાળશે તેવી હીરા ઉદ્યોગને આશા છે.