Bhavnagar: રસ્તાઓ પર ખાડા અને રખડતાં ઢોરથી લોકોને હાલાકી, અકસ્માતની ઘટનાઓ વધી
લોકોની મુશ્કેલી વધે તે પહેલાં મનપાનું તંત્ર જાગૃત થઈને કામે લાગે તે બહુ જરૂરી છે. ભાવનગર શહેરમાં પ્રવેશતા જ પ્રવેશદ્વાર સમા ચિત્રા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થવા પામેલ છે.
ભાવનગરમાં (Bhavnagar) દર ચોમાસે (Monsoon) રસ્તા પર પડતા ખાડા અને રખડતા ઢોરને લઈને ભાવનગરની પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે, કારણકે ચોમાસુ શરૂ થતાં જ શહેરના રોડ રસ્તા પર ખાડાઓનું જાણે સામ્રાજ્ય ઉભું થાય છે, જેને કારણે લોકો પરેશાન થઈ જાય છે. આવી જ સમસ્યા રખડતા ઢોરની (stray cattle) પણ છે, જેને લઈને અકસ્માતની ઘટના વધી છે. ઢોર અને ખરાબ રસ્તાને કારણે અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થઈ જાય છે તેમ છતાં પ્રશાસનના પેટનું પાણી પણ નથી હલતુ.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગરમાં આજ સ્થિતી ઉભી થઈ છે. અનેક જગ્યાએ ખાડાઓ અને ભર ચોમાસામાં ખોદ કામ શરૂ છે. વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે વિપક્ષ પણ શાસકો પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહ્યા છે. શહેરમાં આ વર્ષે ચોમાસાની સામાન્ય શરૂઆત થઈ ચૂકી છે. ગયા વર્ષેની જેમ આ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો નથી, સામાન્ય વરસાદ હોવા છતાં દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરમાં સમસ્યાનો દોર શરૂ થઈ ગયો છે.
જેમાં રસ્તાઓ પર ખાડા પડતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસાના પ્રથમ પડેલા વરસાદને લઈને નવા અને જૂના બન્ને રોડ પર ખાડા પડી ગયા છે. આ સિવાય શહેરમાં અનેક જગ્યાઓ પર ડ્રેનેજ લાઈન, સ્ટ્રોમલાઈનના કામ ચાલુ હોવાને લઈને જ્યાં અને ત્યાં મસ મોટા ખોદેલા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને આજ ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે.
આ બધા જ કામો ચોમાસા પહેલા થવા જોઈએ જે ચોમાસામાં પણ પૂર્ણ ના થતાં કામ ચાલુ છે. જે મનપાની અણઆવડત છતી કરી રહ્યા છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયાની શાસકો વાત કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી જ છે. કારણકે આ ચોમાસામાં ભાવનગરમાં પેલા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ત્યારે હજુ ચોમાસુ અડધું બાકી હોય અને શહેરમાં સમસ્યાઓ વરસાદને લઈને વધી રહી છે. આવી જ એક સમસ્યા છે શહેરમાં રખડતા ઢોરની છે. રસ્તાઓ પર જ્યાં જુવો ત્યાં આખલાઓ જોવા મળે છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ ઉભી થાય છે અને આખલાઓ દ્વારા રોડ પર લોકોને અડફેટે લેવાની પણ ઘટનાઓ સામે આવી છે. લોકોની મુશ્કેલી વધે તે પહેલાં મનપાનું તંત્ર જાગૃત થઈને કામે લાગે તે બહુ જરૂરી છે.
ભાવનગર શહેરમાં પ્રવેશતા જ પ્રવેશદ્વાર સમા ચિત્રા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થયું છે. મોટા શહેરમાંથી આવતા લોકો ભાવનગરમાં પ્રવેશતાની સાથે જ શહેરની કદર કરે તેવી સ્થિતિ હોવા છતાં નક્કર કામ થતું નથી, આવી જ સ્થિતિ સિદસર રોડ પર છે. કાળિયાબીડમાં પણ વિરાણી ચોક સહિતના વિસ્તારના મેઈન રોડમાં મસ મોટા ખાડા જોવા મળી રહ્યા છે.
આ સિવાય માર્કેટિંગયાર્ડના મેઈન રોડ પર રખડતા ઢોરના ઝુંડ મોટી સંખ્યામાં રોડની વચ્ચે ડેરો જમાવીને બેસતા રાહદારીઓ અને ખાસ કરીને મહિલાઓ ભારે મુશ્કેલી ભોગવે છે. શાસક પક્ષ બધું થઈ જવાનું આશ્વાસન આપે છે, વિપક્ષ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. જ્યારે હકિકતમાં પ્રજા આ બધી જ સમસ્યાઓ વચ્ચે પરેશાન છે.
આ પણ વાંચો – બાગાયત ખેતી તરફ અગ્રેસર બનતું જામનગર, ડ્રેગન ફ્રૂટની ખેતી કરી ખેડૂતે એક જ સીઝનમાં મેળવ્યો 3 લાખથી વધુ નફો
આ પણ વાંચો – Fastag નો ઉપયોગ કરો છો તો જાણી લો આ 5 નિયમ નહીં તો ચૂકવવો પડશે ડબલ ચાર્જ