નમામિ દેવી નર્મદે : આજે નર્મદા જયંતીની ઉજવણી કરાશે, લોકમાતાના પૂજન અને આસ્થાની ડૂબકી લગાવવા શ્રદ્ધાળુઓ ઉમટી પડશે
એક દંતકથા અનુસાર ભગવાન શિવ તપસ્યા કરવા માટે મૈકલ પર્વત પહોંચ્યા હતા. આ પર્વત છત્તીસગઢમાં આવેલો છે. તપ દરમિયાન તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ રચાયું હતું. આ કુંડમાં એક દીકરીનો જન્મ થયો હતો. ભોલેનાથના આદેશ અનુસાર તે દીકરીને નર્મદાનું નામ અપાયું હતું.
આજે પુણ્ય સલિલા તરીકે ઓળખાતી લોકમાતાની નર્મદા જયંતિ છે. આ પવન અવસરે ભરૃચમાં દશાશ્વમેઘ ઘાટ અને અંક્લેશ્વર રામકુંડ સ્થિત નર્મદા મંદિર અને નર્મદાના કિનારે આવેલ અનેક સ્થળોએ નર્મદા પૂજન સાથે પર્વનીઉજવણી કરવામાં આવશે. દેશમાં નર્મદા જયંતિના પર્વનું ખૂબ જ મહત્વ જોડાયેલું છે. આ પર્વ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવાય છે. નર્મદા જયંતિએ નર્મદા નદીને પૃથ્વીની પોષક અને તારણહાર તરીકે પૂજવામાં આવે છે. આજના દિવસે અમરકંટકમાં તેના માટે ખાસ આયોજન કરવામાં આવે છે કારણ કે તે નર્મદા માતાનું તે ઉત્પત્તિ સ્થાન છે. હિન્દુ કેલેન્ડર મુજબ નર્મદાનો જન્મ મહા મહિનાની શુક્લ પક્ષની સપ્તમીએ થયો હતો. રામાયણથી લઈને મહાભારત અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં નર્મદા નદીના મહત્વનું વર્ણન કરાયું છે.
લોકમાતા નર્મદાની ઉત્પત્તિ
એક દંતકથા અનુસાર ભગવાન શિવ તપસ્યા કરવા માટે મૈકલ પર્વત પહોંચ્યા હતા. આ પર્વત છત્તીસગઢમાં આવેલો છે. તપ દરમિયાન તેમના પરસેવાના ટીપાથી આ પર્વત પર કુંડ રચાયું હતું. આ કુંડમાં એક દીકરીનો જન્મ થયો હતો. ભોલેનાથના આદેશ અનુસાર તે દીકરીને નર્મદાનું નામ અપાયું હતું. નર્મદા દેશના એક મોટા હિસ્સામાં પ્રવાહિત થઇ લોક કલ્યાણ કરવા લાગી હતી. તે રવ એટલેકે અવાજ કરતી વહેવા લાગી અને તેથી માટે તેને રેવા નામથી પણ ઓળખ મળી હતી મૈકલ પર્વતમાંથી નીકળતી હોવાથી તેનું નામ મૈકલ સુતા પણ રાખવામાં આવ્યું હતું .
આ કથા અતિ પ્રચલિત છે
ચંદ્ર વંશના રાજા હિરણ્યતેજ હતા. રાજાને તેમના પૂર્વજોના તર્પણ દરમિયાન જ્ઞાન થયું હતું કે તેમના પૂર્વજ અતૃપ્ત છે. આ પૂર્વજોના ઉદ્ધાર અર્થે તેમણે શિવજીની ઉપાસના કરવાનું નક્કી કર્યું હતું. રાજાની તપસ્યાથી પ્રસન્ન થઇ શિવજીએ ફળ સ્વરૂપ વરદાન તરીકે નર્મદા પૃથ્વી પર અવતરિત કરી હતી. ભગવાન શિવએ લોકોના કલ્યાણ માટે ધરતી પર આવેલી નર્મદા લોકમાતાનું બિરુદ આપી વરદાન આપ્યું હતું કે તેમના દર્શનથી જ મનુષ્યને પુણ્ય મળશે. આ કારણોસર નર્મદા જયંતીનો દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથોમાં નર્મદાનું વર્ણન
ધાર્મિક ગ્રંથો અનુસાર નર્મદા નદી પ્રલય દરમિયાન પણ શાંત રહે છે અને તેના દર્શનથી જ લોકોનો ઉદ્ધાર થઇ જાય છે. તે દેશની પાંચ મોટી અને સાત પવિત્ર નદીઓની યાદીમાં સામેલ છે. ગંગા, યમુના, સરસ્વતીની સમાન નર્મદાનું મહત્વ છે. મહર્ષિ માર્કન્ડેય અનુસાર નર્મદાના કણ કણમાં ભગવાન શિવ છે. તેમાં સ્નાન, પાણીનો સ્પર્શ કરવો અથવા માત્ર દર્શનથી જ પુણ્ય મળે છે.