ભરૂચ જિલ્લાના 5 ગામના લોકો માટે મોત સાથે બાથ ભીડવી એ કોઈ નવી વાત નથી, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ આ Video
ઝઘડિયા તાલુકાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા અને ઉચ્છદ ગામોના લોકો ચોમાસાની શરૂઆત સાથે ચિંતામાં ગરક થઇ જાય છે.
ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના 5 ગામના લોકો દરરોજ મોત સાથે બાથ ભીડવા મજબુર છે. 5 ગામને તાલુકામથક સાથે જોડતો માર્ગ ધસમસતા પાણીમાંથી પસાર થતો હોવાથી બાળકોના શાળાએ જવાથી લઈ નોકરિયાતોને કામ ઉપર જવા અને બીમારોને હોસ્પિટલ લઈ જવા પાણીમાંથી પસાર થવું પડે છે. ચોમાસાના ૪ મહિના વૃદ્ધોની તો એ હાલત થાય છે કે તેમણે ગામમાં કેદ રહેવું પડે છે. ગામના નાળા ઉપર મધુમતી ખાડીના પાણી ફરી વળવાથી આ પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિકો પરિસ્થિતિથી એ હદે કંટાળ્યા છે કે હવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
ઝઘડિયા તાલુકાના રાજપરા, રૂપણીયા, મોટા સોરવા, નાના સોરવા, હરીપુરા અને ઉચ્છદ ગામોના લોકો ચોમાસાની શરૂઆત સાથે ચિંતામાં ગરક થઇ જાય છે. વરસાદ સાથે આ ગામોને તાલુકામથક સાથે જોડતો રસ્તો જોખમી બની જાય છે. ગામના નાળા ઉપર મધુમતી ખાડીના પાણી સામાન્ય વરસાદ દરમ્યાન પણ ધસમસતા વહે છે જયારે ભારે વરસાદ દરમ્યાન તો અહીં ફ્લેશ ફ્લડ જેવા દ્રશ્યો સર્જાય છે. ગામમાં રહેલા લોકો વરસાદ ધીમો ન પડે ત્યાં ત્યાં સુધી ગામમાં રહે છે અને ગામની ભાર ગયેલા લોકો પાણીનો પ્રવાહ ધીમો ન પડે ત્યાં સુધી ગામની બહાર રહે છે.
સૌથી બદતર હાલતતો ગામના બાળકોની થાય છે. શાળાએ જવા નીકળેલું બાળક હેમખેમ પરત ન ફરે ત્યાં સુધી પરિવારનો શ્વાસ અધ્ધર રહે છે. બાળકોને ખબે બેસાડી ગામલોકો નદી પસાર કરાવી આપે છે જે બાદ બાળકો શાળાએ જાય છે બીજી તરફ સાંજે પણ બાળકો વડીલોનો ઇંતેજાર કરે છે. બાળકો નદી પસાર કરતા હોય ત્યારે અચાનક તેજ પ્રવાહ આવી જવાનો સતત ભય રહે છે. સ્થાનિકો અનુસાર ૪ મહિના ગામમાં કોઈ બીમાર પડે તો એમ્બ્યુલન્સ પણ આવી શક્તિ નથી. બિમારને ટીંગાટોળી કરી પાણીની બહાર લવાય છે જે બાદ તેને હોસ્પિટલ રવાના કરાય છે.
વર્ષો જૂની સમસ્યાથી હવે ગ્રામજનો કંટાળ્યા છે જે આ ચોમાસા પછી પૂલની સમસ્યા હલ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.