દિવાળીના તહેવાર દરમ્યાન ઉમટી પડતી ભીડ સામે અવ્યવસ્થાના કારણે મોરબી દુર્ઘટના જેવા બનાવો સામે આવતા હોય છે. કેપેસીટી કરતા ખુબ મોટી સંખ્યામાં ટિકિટના વેચાણ અને પૂલ ઉપર વધુ લોકોના પહોંચવાના કારણે ઝૂલતો પૂલ ધરાશાયી થયો અને 140 લોકો અપમૃત્યુનો શિકાર બન્યા હતા. ઘટના બાદ પુણ્ય સલિલા નર્મદાના કાંઠે વસેલા ભરૂચનું વહીવટી અને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. ચોક્ક્સ સંકલન સાથે ભરૂચ જિલ્લાના તમામ પર્યટન સ્થળ ઉપર એકજ સ્થળે ભીડ એકત્રિત ન થાય અનેકાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે ભગદડ મચવા જેવી ઘટના ન બને તે માટે એક વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ટીવી 9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં વેકેશન ચાલી રહ્યું છે. આ સમયગાળામાં મોટી સંખ્યામાં લોકો ફરવા જતા હોય છે. ભરૂચ જિલ્લામાં નર્મદા કાંઠે કબીરવડ સહીત અનેક ધાર્મિક સ્થળો આવેલા છે આ ઉપરાંત તહેવારો દરમ્યાન હાટબજાર ભરાતા હોય છે. જંબુસરના કંબોઇ સ્થિત સમુદ્ર તીર્થ સ્થાન ખાતે પણ વિશેષ દિવસોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા આ એકપણ પર્યટન અને ધાર્મિક સ્થળોએ લોકોની અનિયંત્રિત ભીડ એકત્રિત ન થયા તે માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પર્યટન સ્થળોએ પોલીસબળ વધારી બોટિંગ માટે મર્યાદાથીવધુ લોકો બેસાડવા જેવા લાલચભર્યા કૃત્યો ન બને તેની પણ સૂચના આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલે ટીવી 9 ને જણાવ્યું હતું કે પર્યટન સ્થળો અને ધાર્મિક સ્થળો ધરાવતા પોલીસ સ્ટેશનોની ટીમને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. પર્યટકો અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ રહેતી હોય તેવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. ટ્રાફિક જામ કે અનિયંત્રિત ભીડ જેવા સંજોગો સર્જાય તો તાત્કાલિક ડાયવર્ઝન અને ટ્રાફિક અટકાવવા સહિતના નિર્ણય લેવા આયોજન કરાયા છે. આકામગીરી ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં શુકલતીર્થ ખાતે ભાતીગળ મેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે આ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડવાનો અંદાજ છે. કોઈ અવ્યવસ્થા કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક જાતે આયોજન ઉપર નજર રાખી રહયા છે.
Published On - 2:48 pm, Tue, 1 November 22