Banaskantha Breaking News : અક્ષયપાત્ર એજન્સી બનાવશે અંબાજી મંદિરનો પ્રસાદ, મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ
અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરીને હવે અક્ષયપાત્ર એજન્સીને આપવામાં આવ્યો છે. અંબાજીના મોહનથાળના પ્રસાદમાં નકલી ઘીનો ઉપયોગ કરવા મામલે સરકારે આ નિર્ણય લીધો છે. 1 નવેમ્બરથી અંબાજીમાં પ્રસાદ મોહિની કેટરર્સ નહીં પરંતુ અક્ષય પાત્ર નામની સંસ્થા તૈયાર કરશે.

Ambaji : અંબાજી મંદિરના પ્રસાદના ઘીના નમૂના નિષ્ફળ ગયા બાદ સરકારે કાર્યવાહી કરી છે. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ સરકારે રદ કર્યો છે. હવે અક્ષયપાત્ર નામની સંસ્થાને નવો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા.
અંબાજી મંદિરનો પ્રસાદ હવે અક્ષયપાત્ર એજન્સી બનાવશે
લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદના વિવાદને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સરકારે આ પ્રસાદમાં ભેળસેળયુક્ત ઘીનો ઉપયાગ કરનાર મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કર્યો છે અને અક્ષયપાત્ર એજન્સીને આપ્યો છે.
વિવાદની વાત કરીએ તો, મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીના નમૂનાઓ ચકાસણી દરમિયાન ફેલ થયા હતા. જેને લઈને તંત્ર દ્વારા નકલી ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ઘીના આ ડબ્બાઓ પર અમૂલ કંપનીનું અસલી લેબલ લગાવવામાં આવેલું હતું, પરંતુ ડબ્બાની અંદર રહેલું ઘી નકલી હતું.
ઘીમાં ભેળસેળ સામે આવ્યા બાદ પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સના માલિક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ અમૂલે પણ સ્પષ્ટતા કરી ઘીના ડબ્બા પરના બેચ નંબર તેમજ લેબલ અમૂલના ધારાધોરણો મુજબ નથી તેમજ કેટરર્સ દ્વારા અમૂલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવ્યું છે.