Aravalli: ઉત્તર ગુજરાતમાં ફરી કોંગ્રેસમાં ગાબડું, 300 થી વધુ કાર્યકરો 25 આગેવાનોએ સીઆર પાટીલના હસ્તે કેસરીયા કર્યા
અરવલ્લી જિલ્લામાં આજે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યકર્મ યોજાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જિલ્લાના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.

અરવલ્લી જિલ્લામાં આજે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ કાર્યાલયના લોકાર્પણનો કાર્યકર્મ યોજાયો હતો. આ દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જિલ્લાના આગેવાનો અને કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. સહકારી આગેવાનો પણ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા હતા. મોડાસા શહેરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના અન્ન નાગરીક પુરવઠા પ્રધાને મોડાસા વિધાનસભા વિસ્તારને કોંગ્રેસ મુક્ત થયાની જાહેરાત કરી હતી.
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઉત્તર ગુજરાતમાં મોટુ ગાબડું કોંગ્રેસમાં પાડવા રુપ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીમાં સહકારી અગ્રણી સચિન પટેલ સહિત તાલુકા પંચાયતના આપ પક્ષના વર્તમાન સદસ્યએ પણ ભાજપનો ખેસ પહેર્યો છે. બાયડ ,ધનસુરા અને મોડાસાના તાલુકા ભાજપ કાર્યાલયનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
25 આગેવાનો જોડાયા
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસના આગેવાનો અને સાબરડેરીના ડીરેક્ટર તથા જીલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન સચિન પટેલ પણ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ પહેર્યો હતો. આપ પક્ષ આગેવાન અને તાલુક પંચાયતના સદસ્ય રાહુલ સોલંકીએ પણ ભાજપનો ખેસ પહેર્યો હતો. 25 જેટલા આગેવાનો સાથે 300 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. જેમાં વિધાનસભાના પૂર્વ ઉમેદવાર સહિતના આગેવાનો સામેલ હતા.
લોકસભાને લઈ કહ્યુ-ટિકિટ મારા હાથમાં નથી
આવનારી લોકસભાની ચૂંટણીને લઈ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યુ હતુ કે, ટિકિટ આપવાનુ એ મારા હાથમાં નથી ઉપરથી નક્કી થશે. અહીં હાજપ સ્થાનિક સાંસદ દીપસિંહ રાઠોડ છે, ખૂબ સરસ કાર્ય તેઓ કરી રહ્યા છે. પાર્ટી એમને જ ટિકિટ આપશે કે કેમ એમા હું નથી કહેતો, કારણ કે એ ઉપરથી નક્કી થશે.
પાટીલે ધવલસિંહને કહ્યુ-માફી માંગી લેજો
કાર્યક્રમની શરુઆતે જ ધવલસિંહ ઝાલાને ટકોર કરતા અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, તમારાથી કાર્યકરો નારાજ છે. હવે ગુંદર ચોંટાડીને રહેજો. કાર્યકરોની નારાજગી દૂર કરવા માફી માંગવા માટે કહ્યુ હતુ. બાયડના અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપથી નારાજ થઈને અપક્ષ ચૂંટાયા હતા. જેને લઈ હવે આ નારાજગી કાર્યકરોમાંથી દૂર કરવા માટે ટકોર કરી હતી.
