Anand: પેટલાદ સિવિલ હોસ્પિટલના તબીબોની સફળતા, લેપ્રોટોમી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠ કાઢી
આણંદના (Anand) બોરસદ તાલુકાના બોદાલની 44 વર્ષીય મહિલા દર્દી પેટલાદની એસ.એસ. હોસ્પિટલ માં ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે દાખલ થયા હતા. આ મહિલાને બે ચાર મહિનાથી માસિક આવવાની તકલીફ હોવાથી તેઓ પહેલા બોરસદની ખાનગી હોસ્પિટલ ગયા હતા.
આણંદ (Anand) જિલ્લાના પેટલાદમાં સિવિલ હોસ્પિટલમાં (Petlad Civil Hospital) ડોક્ટરોએ મોટી કમાલ કરી બતાવી છે. ડોક્ટરોએ લેપ્રોટોમી (Laparotomy) દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી બે કિલોથી વધુની ગાંઠનું (Benign Tumor)સફળ ઓપરેશન કરીને મહિલાને નવ જીવન આપ્યુ છે. આ મહિલા દર્દીને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં પીએમજય યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર (Treatment) મળી રહી. જેના પગલે દર્દીના પરિવારજનોએ ડૉક્ટર્સનો ખૂબ જ આભાર માન્યો હતો.
પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મળી સારવાર
બોરસદ તાલુકાના બોદાલની 44 વર્ષીય મહિલા દર્દી પેટલાદની એસ.એસ.હોસ્પિટલ માં ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે દાખલ થયા હતા. આ મહિલાને બે ચાર મહિનાથી માસિક આવવાની તકલીફ હોવાથી તેઓ પહેલા બોરસદની ખાનગી હોસ્પિટલ ગયા હતા. ત્યાંથી તેઓ અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. પરંતુ દર્દીને સંતોષકારક સારવાર ન મળવાને કારણે આ મહિલા દર્દી પેટલાદની સરકારી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન
મહિલા દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે દર્દીના લોહીની ટકાવારી ખુબ જ ઓછી હતી. જેના કારણે હોસ્પિટલના નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ લોહીની ચાર બોટલ ચઢાવીને તેમને રજા આપ્યા બાદ ફરીથી જોખમી ગર્ભાશયની ગાંઠના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડૉ. નિમીત એસ. કુબાવત તથા તેમની ટીમ દ્વારા લેપ્રોટોમી દ્વારા 2. કિલો 200 ગ્રામની ગર્ભાશયની ગાંઠનું (Benign Tumor) સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે પૂર્ણ થતા દર્દીને રાહતનો અનુભવ થતાં પરિવારે તમામ તબીબી નિષ્ણાંતો તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો આભાર માન્યો હતો.
વિનામૂલ્યે સારવાર મળી
આ મહિલા દર્દીનું ન માત્ર વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ તેમની સારામાં સારી સારવાર કરવામાં આવી છે અને તેમને પીએમજય યોજના હેઠળનું કાર્ડ પણ તાત્કાલિક કાઢી આપવામાં આવ્યું હતું. આ કામગીરી સિવિલ હોસ્પિટલ પેટલાદના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો. નિમિત કુબાવત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દર્દી અને તેમનો પરિવાર ડોક્ટર અને સિવિલ હોસ્પિટલની ટીમની કામગીરીથી ખૂબ જ ખુશ છે અને સરકારી યોજનાનો વિનામૂલ્યે લાભ મળવાથી સરકારનો આભાર માની રહ્યા છે.
મહિલા દર્દીના પુત્રએ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલમાં આ સારવાર કરાવી હોત તો રૂપિયા 50 હજારથી વધુનો ખર્ચ થઈ જાત જે ચુકવવુ અમારા માટે મુશ્કેલ હતુ. ઉપરાંત પીએમજય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મળતા હવે અમારા પરીવારને રૂપિયા 5 લાખ સુધીની સારવાર ખાનગી હોસ્પિટલમાં પણ મળી રહેશે. પેટલાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફે પરિવારજનની જેમ મારી માતાની સારવાર કરી છે. તેમણે ડૉક્ટરની સમગ્ર ટીમ અને મફત સારવાર બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.