Anand: અમુલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર સર્વાધિક રુ. 10,229 કરોડને પાર
અમૂલની આ ખાસ સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને બધા જ એજન્ડાનો શાંતિ પૂર્વક નિકાલ કર્યો હતો.
આણંદમાં (Anand) આવેલા સરદાર પટેલ સભાગૃહમાં 23મી જૂન 2022ના રોજ અમૂલ (AMUL) ડેરીની ખાસ સાધારણ સભા યોજવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે અમૂલ ડેરીને (Amul Dairy) મળેલી મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, ત્રિભુવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયને યાદ કરી તેમણે અમૂલ માટે આપેલા નિસ્વાર્થ યોગદાનને યાદ કર્યો હતો અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમૂલ ડેરીની ખાસ સાધારણ સભા યોજાઈ
અમૂલની આ ખાસ સાધારણ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા અને બધા જ એજન્ડાનો શાંતિપૂર્વક નિકાલ કર્યો હતો. રામસિંહ પરમારે સાધારણ સભાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021-2022 ડેરીના આંતરરાષ્ટ્રીયવેપાર માટે ખૂબ જ કપરું રહ્યું હતું. તેમ છતાં ટર્નઓવર રૂપિયા 10,229 કરોડને પાર કરી ગયું, જે સંઘના ઇતિહાસમાં સર્વાધિક છે.
પશુપાલનમાં વિવિધ આધુનિક પધ્ધતિઓનો અમલ
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, સંઘના કાર્યક્ષેત્રમાં દૂધ સંપાદન બમણું કરવાના હેતુથી આરડા દ્વારા પશુપાલનમાં વિવિધ આધુનિક પધ્ધતિઓનો છેલ્લા બે વર્ષથી અમલમાં કરવામાં આવે છે. જેના ઘણાં સારા પરિણામો મળ્યા છે. સેસ્ડ સોર્ટેડ વીર્યડોઝ થકી 90 ટકાથી વધુ વાછરડીનો જન્મ થાય છે, જેનાથી સભાસદોને વાછરડાના જન્મ થકી થતુ આર્થિક નુકસાન થતુ અટકાવી શકાય છે. સેસ્ડ સીમેનના પ્રતિ ડોઝની કિંમત રૂ. 750 છે, જે સભાસદોને ફક્ત રૂ. 50 જેવી નજીવી કિંમતે આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં આરડા-ઓડ દ્વારા ગાય-ભેંસના કુલ 1 લાખથી વધુ વીર્યડોઝનું મંડળીઓને વિતરણ કરવામાં આવ્યુ છે. જે પૈકી 85 હજારથી વધુ વીર્યદાન થયેલુ છે અને 13,500થી વધુ પશુઓ ગાભણ માલુમ પડેલા છે, જેમાં 2400 થી વધુ પશુઓના વિયાણ થકી 1700 થી વધુ વાછરડીનો જન્મ થયો છે.
મનુષ્યમાં આઈ.વી.એફ. (ઇનવીટ્રો ર્ટીલાઈઝેશન) અને ભૃણ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) ઘણી પ્રચલિત પધ્ધતિ છે, જે હવે પશુઓમાં પણ શકય છે. અત્યાર સુધીમાં કુલ 1050 ભ્રુણ પ્રત્યારોપણ કરવામાં આવેલા હતા. જે પૈકી અત્યાર સુધીમાં 283 પશુઓ ગાભણ (નિરર્થક) થયેલા છે અને 143 પશુઓનું વિયાણ થયેલુ છે. જે પૈકી 76 નર અને 67 માદા વાછરડાનો જન્મ થયો છે, જેનો મોગરમાં આવેલા બુલ મધર ફાર્મમાં વૈજ્ઞાનિક ઢબે ઉછેર કરવામાં આવી રહ્યો છે. યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે હેતુથી મોગર ફાર્મ ખાતે આઈ.વી.એફ. લેબોરેટરીની સ્થાપવાની કામગીરી શરૂ કરેલી છે.
પશુઓને અપાઇ ડિજિટલ પટ્ટાથી ઓળખ
ડિજિટલ પટ્ટાના ઉપયોગ થકી ગાયો-ભેંસોમાં વેતર, બીમારી અને સ્વાસ્થ્યની માહિતિ ચોકસાઈ પૂર્વક મેળવી શકાય છે. જેના થકી સમયસર કૃત્રિમ વીર્યદાન અને બીમારીનું સચોટ નિદાન થઈ શકે છે. જેથી સભાસદોને પશુપાલનમાં થતુ આર્થિક નુકસાન અટકી શકે તે હેતુથી ચાલુ વર્ષે 50થી વધુ ફાર્મમાં 3200થી વધુ ગાયોને રાહત દરે ડિજિટલ પટ્ટાથી ઓળખ આપવામાં આવી છે. પ્રથમ તબકકે 10 હજાર પશુઓને ડીજીટલ પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પશુ સારવાર માટે વિઝિટ પાવતીની પધ્ધતિમાં ફેરફાર
હાલમાં પશુ સારવાર માટે ચાલતી વિઝિટ પાવતીની પધ્ધતિમાં ફેરફાર કરી પ્રારંભિક તબક્કે 12 દૂધ મંડળીઓમાં ડિજિટલ પાવતીનો સફળ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પશુ સારવારમાં વપરાતી એન્ટીબાયોટીક દવાઓનો અમૂક માત્રાથી વધુ માત્રામાં ઉપયોગ કરવાથી દૂધની ગુણવત્તામાં ઘટાડો થવાને કારણે દૂધની બનાવટોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વેચવામાં મૂશ્કેલી ઉભી થાય છે. આવી દવાઓનું પ્રમાણ ઘટાડવા આપણાં કાર્યક્ષેત્રમાં અમૂક બીમારીઓમાં પરંપરાગત પશુચિકિત્સા ઈનોવેટ વેટરનરી મેડીસીન (ઇ.વી.એમ) નું કેટલ ફીક ફેકટરી – કંજરી ખાતે ઉત્પાદન કરી ઉપયોગ કરવાનું શરૂ કર્યુ છે.
હોમીયોપેથી દવાઓથી પશુઓને થતી સામાન્ય બીમારીઓમાં અસરકારક રીતે સારવાર કરી શકાય છે, જેનો 20 જેટલી બીમારીઓમાં પ્રાયોગિક ઘોરણે ઉપયોગ કરવામાં આવેલો છે, જેના પણ ઘણાં સારા પરિણામ મળતા કેટલ ફીડ ફેક્ટરી-ખાતે વેટરનરી હોમીયોપેથી દવાઓનું ઉત્પાદન કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
વધુમાં ચેરમેને જણાવ્યું કે આરડા અને તેના થકી થતા યોજનાના કાર્યો, અમૂલ માટે ખૂબ જ ઉપયોગી છે. સાથે સાથે રામસિંહે દરેક દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેનને અપીલ કરી કે દરેક મંડળી સેક્સ સિમેનનો, ભૃણ પ્રત્યારોપણ (એમ્બ્રીઓ ટ્રાન્સફર) પધ્ધતિ તેમજ ડીઝીટલ પટ્ટા જેવી આધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ અવશ્ય કરે જેથી આપણા પશુઓની દૂધ ઉત્પાદકતામાં વધારો થાય અને તે માટે ચાલતી તમામ યોજનાઓનો લાભ લેવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યુ કે ઘણી દૂધ મંડળીઓમાં મિલ્ક એનાલાઈઝર લગાવેલ છે જેથી અમૂલને મળતા દૂધમાં ફેટ અને એસ,એન.એફ.માં વધારો થયેલ છે અને તેનો સીધો ફાયદો સભાસદોને પણ થયેલ છે માટે દરેક દૂધ મંડળી આ મિલ્ક એનાલાઈઝર લગાવવા જણાવ્યુ હતું.