Ahmedabad: ખાનગી હોસ્પિટલ્સ પાસેથી રેમડેસિવિર ઇન્જેક્શનના કરોડો રૂપિયાની વસુલાત બાકી પણ AMCનાં પેટનું પાણી નથી હલી રહ્યુ
રમેશ વોરા (Ramesh Vora) નામના સામાજીક કાર્યકર દ્વારા RTI કરવામાં આવતા જ તંત્ર સફાળું જાગ્યું અને થોડી રકમ ઊઘરાવી ફરી એજ બેદરકારી બતાવી રહ્યુ છે. કોર્પોરેશન દ્વારા હજુ 11 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે.
અમદાવાદ મ્ચુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) લાખો રૂપિયાના ટેક્સ ચુકવવાના બાકી હોય તો શહેરમાં પ્રોપર્ટી સીલ કરી દે છે. તેમજ સામાન્ય જનતા સામે દંડાત્મક કાર્યવાહી કરે છે. અમદાવાદ મ્ચુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે ઊંઘતુ ઝડપાયુ છે. કોરોનાકાળમાં જ્યારે રેમડેસિવિર ઇન્જેક્શનની (remdesivir injection) ખૂબ જ માગ હતી, ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ્સને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જો કે AMCએ આપેલા રેમડેસિવિર ઈન્જેક્શનના કરોડો રૂપિયા હજુ સુધી વસૂલ્યા નથી. આ બાબતનો ખુલાસો એક RTIમાં થતા એએમસીની પોલ ખુલી છે.
RTIમાં ખુલી નિંદ્રાધીન કોર્પોરેશનની પોલ
એક તરફ અમદાવાદ કોર્પોરેશન ખોટ ખાઇ રહ્યુ છે, તેમ છતા તેને જાણે પૈસા ઊઘરાવવાનું મન થતુ નથી. જો સામાન્ય જનતાનો કોઈ ટેક્સ બાકી હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમાં વ્યાજ સહિતની ઉઘરાણી કરતી હોય છે. પરંતુ કોરોનાકાળમાં જે ખાનગી હોસ્પિટલોને કોર્પોરેશને રેમડેસિવિર ઈન્જેક્શન આપ્યા હતા. તેના 15 કરોડ રૂપિયા પરત લેવામાં કોર્પોરેશનને કોઈ રસ નથી… તો બીજીબાજુ ખાનગી હોસ્પિટલોએ પણ પૈસા આપવામાં સામેથી કોઈ પ્રામાણિકતા ન બતાવી. જોકે આ મામલે પોલ ત્યારે ખુલી જ્યારે એક સામાજિક કાર્યકર દ્વારા RTI કરવામાં આવી.
RTI બાદ જાગ્યુ તંત્ર
રમેશ વોરા નામના સામાજીક કાર્યકર દ્વારા RTI કરવામાં આવતા જ તંત્ર સફાળું જાગ્યું અને થોડી રકમ ઊઘરાવી ફરી એજ બેદરકારી બતાવી રહ્યુ છે. કોર્પોરેશન દ્વારા હજુ 11 કરોડ રૂપિયા વસૂલવાના બાકી છે. ત્યારે આહના (AHNA) સંસ્થાદ્વારા જણાવાયું કે જ્યારે હોસ્પિટલોને ઈન્જેક્શન આપ્યા ત્યારે એએમસી પાસે કોઈ રેકોર્ડ ન હતા અને આખરે બેદરકારી રાખવામાં આવી. તો આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું છે કે હોસ્પિટલો પાસેથી વ્યાજ સહિતની રકમ વસૂલવામાં આવશે.
એએમસીના સત્તાધીશો દાવો કરી રહ્યા છે પરંતુ આ કરોડો રૂપિયા પરત મેળવવામાં એએમસી કેટલી સફળ રહેશે એ મોટો સવાલ છે. સૌથી મોટો સવાલ તો એ થઈ રહ્યો છે કે કરોડો રૂપિયા પરત લેવામાં એએમસીના સત્તાધીશો શા માટે ઊંઘતા રહ્યા. બીજી તરફ આહનાનો દાવો છે કે આડેધડ રીતે હોસ્પિટલની યાદી બનાવાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ કોર્પોરેશન હવે કેવી રીતે પૈસા પરત મેળવશે.