Rathyatra 2022: હાઇટેક સિક્યુરિટી સાથે નગરમાં ફરશે રથયાત્રા, 24 હજારથી વધુ પોલીસકર્મી રહેશે ખડેપગે
અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Rathyatra) માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ રહેશે.
અમદાવાદમાં આ વર્ષે 145મી રથયાત્રા નીકળવાની છે. 1 જુલાઇએ ભગવાન જગન્નાથ (Lord Jagannath) અમદાવાદના માર્ગો પર નગરચર્યાએ નીકળવાના છે. ત્યારે રથયાત્રાને (Rathyatra) લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદીઓમાં (Ahmedabad) અષાઢી બીજની રાહ જોવાઈ રહી છે. રથયાત્રામાં સુરક્ષા માટે પોલીસ સજ્જ બની છે. રથયાત્રાના તમામ રુટ પર ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. રથયાત્રા દરમિયાન કુલ 24 હજારથી વધુ પોલીસકર્મી ખડેપગે રહેશે. તો બીજી તરફ અમદાવાદમાં રથયાત્રામાં પહેલી વખત પેરા મોટરનો ઉપયોગ કરાશે.
ત્રિનેત્ર કંટ્રોલ રૂમમાં સીસીટીવીથી મોનિટરિંગ કરાશે
રાજ્યભરમાં યોજાનારી રથયાત્રાને લઇ પોલીસ સક્રિય બની છે. રથયાત્રાની સુરક્ષા માટે પોલીસે ખાસ આયોજન કર્યું છે. ત્યારે રથયાત્રા પૂર્વે રાજ્ય DGP આશિષ ભાટિયાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સહિત તમામ અધિકારી હાજર રહ્યાં હતા. DGP આશિષ ભાટિયાએ કહ્યું કે જે જિલ્લામાં રથયાત્રા નીકળવાની છે ત્યાં હાઈટેક સિક્યુરિટી રખાશે.
રથયાત્રા દરમિયાન ત્રિનેત્ર કંટ્રોલ રૂમમાં સીસીટીવીથી મોનિટરિંગ કરાશે. એટલું જ નહીં ડ્રોન કેમેરા, બોડી ઓન કેમેરા અને સોશિયલ મીડિયા પર સાયબર અને સીઆઇડી ક્રાઈમ નજર રાખશે. તો સ્થાનિક પોલીસ, SRP, હોમ ગાર્ડ, GRD, BDDS, QRT, પેરા મિલિટરી સહિત 25 કંપનીઓ રથયાત્રા દરમિયાન ખડેપગે રહેશે.
લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ સજ્જ રહેશે. વધુમાં આશિષ ભાટિયાએ કહ્યું હતુ કે રાજ્યમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. જેથી અમદાવાદમાં પોલીસ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરશે. અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કુલ 24 હજારથી વધુ પોલીસકર્મી ખડેપગે રહેશે. ત્યારે હાઇટેક્નોલોજી સાથે 24 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે.
બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમ બ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચ શકમંદો પર નજર રાખશે. અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર નજર રખાશે. કોઈ અનિચ્છનીય ઘટના બને તો લોકડાઉન અને ઇન્ટરનેટ બંધ કરવા સુધીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં નીકળનારી રથયાત્રામાં પહેલી વખત પેરા મોટરનો ઉપયોગ કરાશે. પેરા મોટર દ્વારા હવામાંથી રથયાત્રા પર નજર રાખવામાં આવશે. ડ્રોનની સાથે સાથે પેરા મોટર દ્વારા રથયાત્રા પર બાઝ નજર રાખવામાં આવશે. રથયાત્રામાં ઉપયોગ પહેલા પોલીસે GMDC ગ્રાઉન્ડ પાસે પેરા મોટરનું ટ્રાયલ કર્યુ હતુ.