Ahmedabad : જિલ્લામાં નવા 75 તળાવ બનાવવાનું આયોજન, જળ સંગ્રહ શક્તિની ક્ષમતા વધશે
હાલ અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં કેસરડી, દહેગામડા, ખાનપુર તથા રૂપાવટી સહિત લગભગ 33 તળાવનું કામ પ્રગતિમાં છે. ટુંક સમયમાં કુલ 75 જેટલા સરોવરના કામો શરૂ થશે.
અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં પાણીની સમસ્યા (Water crisis) હવે ઓછી થશે. જિલ્લામાં જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં વધારો કરવા નવા 75 તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આઝાદીના 75 વર્ષ 2022માં પુરા થઈ રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ (Prime Minister Narendra Modi) વર્ષ 2022 થી 2023 સુધી સમગ્ર વર્ષ અમૃત મહોત્સવની ઉજવણી કરવાનુ આયોજન કર્યુ છે. જેના ભાગ રૂપે દેશના દરેક જીલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા કરેલા સૂચન અન્વયે અમદાવાદ જિલ્લામાં અમૃત સરોવર યોજના અંતર્ગત 75 તળાવ બનાવવાનું આયોજન છે. દરેક તળાવમાં ઓછામાં ઓછી 10 હજાર કયુબિક મીટર સંગ્રહ ક્ષમતા મુજબ સમગ્ર જિલ્લામાં અંદાજે 7.50 લાખ ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિની ક્ષમતા વધશે.
અમદાવાદ જિલ્લામાં 75 જેટલા સરોવરના કામો શરૂ થશે
હાલ અમદાવાદ જિલ્લામાં કેસરડી, દહેગામડા, ખાનપુર તથા રૂપાવટી સહિત લગભગ 33 તળાવનું કામ પ્રગતિમાં છે. ટુંક સમયમાં કુલ 75 જેટલા સરોવરના કામો શરૂ થશે. અમદાવાદ જિલ્લામાં આ કામગીરીને વેગવાન બનાવાઈ છે. તેનાથી જિલ્લામાં ભુગર્ભ જળના તળ ઉંચા આવશે.
ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આયોજન
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ આ અંગેની વિગત આપતા જણાવ્યું છે કે, 4 એપ્રિલ 2022ના રોજ પંચયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં દેશમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું સૂચન કર્યું હતું. તેના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવાનું આયોજન છે. અમદાવાદ જિલ્લામાં ઓગષ્ટ’ 2023 સુધીમાં 75 તળાવ પુર્ણ કરવાનું આયોજન છે. પ્રત્યેક તળાવ ઓછામાં ઓછા 1 એકરમાં બનશે અને અંદાજે 10 હજાર ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિ ધરાવતા પ્રત્યેક તળાવના પગલે ભુગર્ભ જળ ઉંચા આવશે.
આ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઈજનેર એમ.સી.મકવાણાએ માહિતી આપી હતી કે, અધ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બનનારા દરેક તળાવ સ્થળે ધ્વજવંદન માટે સાઈટ બનાવાશે. તળાવ નિર્માણના દરેક કામમાં લોકભાગીદારીનો સહયોગ લેવામાં આવશે. આ યોજના અંતર્ગત તળાવ વિસ્તારનો વિકાસ, કેચમેન્ટ એરીયામાં પ્લાન્ટેશન અને જળ સંચયના કામો, ઈનલેટ –આઉટલેટ સ્ટ્રક્ચરનો વિકાસ, સરોવરની આસપાસ પ્લાન્ટેશન જેવા બહુ આયામી પાસાઓને આવરી લેવાનું આયોજન પણ છે.
ગ્રામ વિકાસ, જળ મંત્રાળય, સાંસ્કૃતિક વિભાગ, પંચાયત વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાયમેટ ચેન્જ વિભાગ તથા બાયસેગ એમ વિવિધ વિભાગોને આવરી લેતી આ યોજનામાં સ્પેસ ટેકનોલોજી, ગીઓ-સ્પેશ્યલ ટેકનોલોજી, 3D-ફોટોગ્રામેટ્રી, ઈ ન્ફોર્મેશન ટેકનોલોજી-વેબ ટેકનોલોજી, મોબાઈલ એપ, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એમ બહુધા ટેકનોલોજીનો ઉપયોગ થશે.