Ahmedabad: સ્માર્ટ સિટીના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે બેડાયુદ્ધ, ટેન્કરમાંથી ડોલ અને બેડા લઇને લોકોએ ભરવુ પડે છે પાણી
અમદાવાદ (Ahmedabad) શહેરના સરખેજ અને મકતમપુરા વિસ્તારમાં આવેલા અજીમ પાર્કમાં ગામડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેમ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં પાણીની લાઇન નથી અને જો છે તો ઓછા પ્રેસરે પાણી આવે છે.
અમદાવાદમાં (Ahmedabad) ઊનાળાની (Summer 2022) કાળઝાળ ગરમીમાં પાણીની કટોકટી (Water crisis) સર્જાઇ છે. અમદાવાદ શહેરને ભલે સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યું હોય. જોકે આજે પણ શહેરમાં કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં હજુ ગામડા જેવી પરિસ્થિતિ છે. કેમ કે તે ઘણા વિસ્તારમાં હજુ પણ લોકોને ડોલ અને બેડા લઈને પાણીના ટેન્કરમાંથી પાણી ભરવું પડે છે. ચોમાસુ આવતા પહેલા હજુ પણ કેટલાક વિસ્તારમા રીતસરનું બેડાયુદ્ધ જોવા મળે છે.
અમદાવાદ શહેરના સરખેજ અને મકતમપુરા વિસ્તારમાં આવેલા અજીમ પાર્કમાં ગામડા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. કેમ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના વિસ્તારમાં પાણીની લાઈન નથી અને જો છે તો ઓછા પ્રેસરે પાણી આવે છે. જેથી તેઓને પાણીના ટેન્કર મગાવી પાણી ભરી કામ ચલાવવું પડે છે. જેના કારણે જેમ ગામડામાં કુવે કે તળાવે મહિલાઓ પાણી ભરવા જાય તે પ્રકારની પરિસ્થિતિ શહેરના સરખેજ મકતમપુરા વિસ્તારમાં સર્જાઈ છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પાણી માટે ઘર્ષણ પર ઉતરી આવે છે લોકો
લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેમના વિસ્તારમાં આ સમસ્યા છે અને તેમાં ગરમી વચ્ચે છેલ્લા બે મહિનામાં સમસ્યા વધુ વકરી છે. કેમ કે ગરમી વચ્ચે પાણી મુખ્ય જરૂરિયાત છે. જે ન મળે તો લોકોને હાલાકી પડે તે સ્વભાવિક છે અને તેમાં જ્યારે ટેન્કર આવે ત્યારે લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાય છે. જેમાં મહિલાઓ ભર બપોરે 43 ડિગ્રી ગરમી વચ્ચે બેડા, ડોલ કે જે વસ્તુ મળી તે લઈને પાણી ભરવા જાય છે અને તેવામાં ભીડ થતા અને પાણી નહીં મળવાની લ્હાયમાં લોકો ઘર્ષણ પર ઉતરી આવે છે. સરખેજ અને મકતમપુરાના સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા છે.
30 ફુટના અંતરે સામે જ આવેલી સોસાયટીમાં આવે છે પાણી
ચાંદખેડા વિસ્તારમાં કેશવકુંજ સોસાયટી અને શાંતિકુંજ સોસાયટી વચ્ચે 30 ફૂટ રોડનું અંતર છે કે જ્યાં શાંતિકુંજમાં ભરપુર પાણી આવે છે, ત્યાં બીજી તરફ કેશવકુંજ સોસાયટીમાં 85 મકાનના રહીશો પાણી વગર વલખા મારે છે. કેમ કે તેમના ઘરમાં છતાં પાઈપ લાઈને પાણી નથી આવી રહ્યું. જે સોસાયટીના રહીશોએ પાણીનું ટેન્કર મગાવી કામ ચલાવુ પડે છે પણ હદ ત્યાં થાય છે કે પાણી ભરતી વખતે ઘર્ષણ થાય છે અથવા તો ગરમીના કારણે ડિહાઈડ્રેશનની અસર પણ લોકોને થાય છે. લોકોને એ પણ પ્રશ્ન સતાવે છે કે સામેની સોસાયટીમાં પાણી આવે અને તેમની સોસાયટીમાં કેમ નહીં. તેમજ રજુઆત કરવા છતાં પણ પાણી ન આવતા સ્થાનિકો તંત્રની કામગીરીને લઈને નારાજ જોવા મળ્યા. જેઓએ પાણીની સમસ્યા જલ્દી દુર કરવા માગ કરી છે.
એવું નથી કે માત્ર સરખેજ મકતમપુરા અને ચાંદખેડામાં પાણીના ટેન્કર આવતા હોય. પણ શહેરમાં ઓઢવ, લાંભા, શાહઆલમ, કઠવાળા સહિત કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં પાણીની સમસ્યા છે અને લોકોએ પાણીના ટેન્કર મગાવી કામ ચલાવું પડે છે. જેને લઈને વિરોધ પક્ષે સતાપક્ષે પર નિશાન સાધ્યું અને જરૂરી સુવિધા ઉભી કરવા જણાવ્યું છે તો આ તરફ સતાપક્ષે ટેક્નિકલ ખામીના કારણે સમસ્યા સર્જાઇ હોવાનું જણાવી હાથ અધર કરી જલ્દી સમસ્યા દૂર કરવા ખાતરી આપી.
ઉલ્લેખનીય છે કે પાણીની સમસ્યાને લઈને AMCની છેલ્લી બોર્ડ મિટિંગમાં મકતમપુરા વિસ્તાર ચર્ચાનો વિષય રહ્યો હતો. ત્યારે હવે જોવાનું એ રહે છે કે શહેરમાં 24 કલાક પાણી આપવાના બણગાં ફૂંકતું કોર્પોરેશન શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી ક્યારે પહોંચાડી રહે છે?