Ahmedabad: ત્રિપદા સ્કૂલ રાતોરાત બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ, ન્યાયની માગ સાથે શાળા બહાર કર્યો હોબાળો
ત્રિપદા શાળાના (Tripada School) સંચાલકોએ શાળા બંધ કરવા માટે DEOમાં એક અરજી આપી હતી. જે પછી RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વારંવાર ખાનગી શાળાઓની દાદાગીરી સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ (Tripada School) વિવાદમાં આવી છે, અનેક વખત શાળામાં પ્રવેશ આપવાને લઇને સ્કૂલ અને શાળા સંચાલકો વિવાદમાં આવતા હોય છે. ત્યારે આ વખતે શાળાએ રાતોરાત શાળા બંધ કરવાની જાહેરાત કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ શાળાની બહાર હોબાળો કર્યો હતો.
ત્રિપદા સ્કૂલ બહાર વાલીઓનો હોબાળો
અમદાવાદમાં વધુ એક સ્કૂલ સંચાલકની દાદાગીરી સામે આવી છે. રાતો રાત ત્રિપદા સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સ્કૂલ બંધ કરવાની વાત જાહેર થતા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની મુશ્કેલી પણ વધી છે. બે દિવસ પહેલા વાલીઓએ DEOને રજૂઆત કરી હતી. છતાં સ્કૂલ સામે કોઈ પગલા લેવાયા નથી.
RTE હેઠળ અભ્યાસ કરતા બાળકો રઝળ્યા !
શાળા સંચાલકોએ શાળા બંધ કરવા માટે DEOમાં એક અરજી આપી હતી. જે પછી RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ એવો આક્ષેપ કર્યો છે કે શાળામાં ભણતા 1થી 8 ધોરણના RTE હેઠળ અભ્યાસ કરતા તમામ બાળકોને એક જ ક્લાસરુમમાં બેસીને અભ્યાસ કરાવવામાં આવે છે. વાલીઓનું કહેવુ છે કે શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન વિડ્રોવ કરી લીધુ છે, માત્ર RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સંકટ ઊભુ થયુ છે.
RTE હેઠળ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓ આજે શાળામાં સંચાલકોને મળવા આવ્યા હતા. જો કે શાળા તરફથી કોઇપણ જવાબ ન અપાતા વાલીઓ રોષે ભરાયા હતા. જે પછી વાલીઓએ શાળા બહાર ઊભા રહીને વિરોધ સાથે ન્યાયની માગણી કરી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા
બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓની કોઈ રજૂઆત ન મળી હોવાનું જણાવ્યુ હતુ.તેમણે જણાવ્યુ હતુ કે સ્કૂલની તપાસ કચેરીના અધિકારીઓને સોંપાઈ છે. તપાસમાં જે કારણ બહાર આવશે તે મુજબ સ્કૂલ સામે પગલા લેવાશે. તો શાળા સંચાલકો દ્વારા RTE વિભાગને પણ તેમની શાળા બંધ કરવા અંગેની અરજી કરવામાં આવી હતી. જો કે તેમણે શાળાની આ અરજી ફગાવી દીધી હતી અને શાળા ચાલુ જ રાખવા રજુઆત કરી હતી. જો કે શાળા સંચાલકોની દાદાગીરી બાદ વાલીઓનું ભવિષ્ય પણ જાણે રઝડતુ થઇ ગયુ હોય તેવો ઘાટ સર્જાયો છે.