Gujarat : રાજ્યમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, હવે 25 ટકા ફી માફી માટે વાલી મંડળની રજુઆત
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે (Naresh Shah) આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખીને 25 ટકા ફી માફ કરવા રજુઆત કરી છે.
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ(Gujarat Education Department) દ્વારા ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન (Mass Promotion) આપવાની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં ધોરણ-3થી 8ની વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા બાદ શિક્ષણપ્રધાન જિતુ વાઘાણીએ વિદ્યાર્થીઓના ગુણ અને ગ્રેડને ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં બઢતી આપવા અંગે જણાવ્યુ છે. શિક્ષણપ્રધાને આ અંગે સત્તાવાર ટ્વિટ કરી માહિતી આપી હતી. કોરોનાની સ્થિતિના કારણે આ વખતે પણ વિદ્યાર્થીઓને(Students) માસ પ્રમોશન આપી દેવાનું નક્કી કરાયું છે. 2019માં વર્ગ બઢતી અંગે સરકારે(Gujarat Government) કરેલા પરિપત્રનો ચાલુ વર્ષે અમલ મોકૂફ રાખવાનું નક્કી કરાયું છે. તેની વચ્ચે વાલી મંડળ દ્વારા 25 ટકા ફી માફીની જાહેરાત પૂર્વ શિક્ષણમંત્રીએ કરી હતી તેનો પણ અમલ કરવા માગ કરાઈ છે.
કોરોના કાળમાં વિદ્યાર્થીઓના શિક્ષણને માઠી અસર
તમને જણાવી દઈએ કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં(Education Year) કોરોનાના કારણે શરૂઆતના સમયમાં પ્રાથમિક વિભાગમાં માત્ર ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યું હતું. ત્યારબાદ છેક ફેબ્રુઆરી માસના અંતથી શાળાઓ રાબેતા મુજબ ચાલુ થઈ હતી. આમ, ખૂબ જ ટૂંકા ગાળા માટે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે એમાં પણ વાલીઓની મંજુરી ફરજિયાત રાખવામાં આવી હતી. જેને લઈને મોટાભાગના વિદ્યાર્થીઓના શિક્ષણને અસર થઈ હતી.
25 ટકા ફી માફી આપવા વાલી મંડળે સરકારને પત્ર લખ્યો
તમને જણાવી દઈએ કે, ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે (Naresh Shah) આ મામલે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. તેમણે જણાવ્યું કે, કોરોનાને કારણે બાળકોનો અભ્યાસ સંપૂર્ણ પૂરો ન થતા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સરકારે જાહેર કર્યું છે ત્યારે બાળકો સ્કૂલોમાં ભણ્યા નથી અને મોટા ભાગે સ્કૂલે ગયા નથી. કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારે 25 ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે માસ પ્રમોશનની જેમ 25 ટકા ફી માફી આપવા વાલી મંડળે સરકારને રજુઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્કૂલો 9 મહિના સંપૂર્ણ બંધ રહી હતી અને સ્કૂલોને કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી. જેથી ફી માફી માટે વાલી મંડળે પત્ર લખ્યો છે અને સાથે જ જણાવ્યુ છે કે શિક્ષણમંત્રી આ અંગે પગલાં નહીં લે તો વાલી મંડળે હાઈકોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.