International Yoga Day: આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાસ્થ્યનો અમૃતકાળ બનશે અને યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવશે : CM ભુપેન્દ્ર પટેલ
ગુજરાતમાં (Gujarat) રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) , કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડ તેમજ રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી થઇ રહી છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’એટલે ‘માનવતા માટે યોગ’ રખાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. તો ગુજરાતમાં રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) , કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડ તેમજ રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવે તેવી શુભેચ્છા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં 75 આઈકોનિક સ્થળો પર યોગપ્રેમીઓ થકી યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાસ્થ્યના અમૃતકાળ બને અને યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવે તેવી શુભેચ્છાઓ મુખ્યમંત્રીએ સૌને પાઠવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષે આપણે ‘માનવતા માટે યોગ’ની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીએ તમામ દેશ, ધર્મ, નાતિ-જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યાં છે અને યોગ-પ્રાણાયમ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન પણ વડાપ્રધાને આપ્યું છે. એટલું જ આજે યોગના માધ્યમથી દુનિયાના અનેક લોકો એકબીજા સાથે જોડાઇ રહ્યા છે એમ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
“સર્વજન સુખાય”ના પ્રયત્નો સફળ થયા: CM
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યોગને વિશ્વના ખૂણેખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય નરેન્દ્ર મોદીએ પાર પાડ્યું છે. આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ તેમણે સમજાવ્યું છે આમ, નરેન્દ્ર મોદીના “સર્વજન સુખાય”ના પ્રયત્નો સફળ થયા છે. આજે વિશ્વના 130થી પણ વધુ દેશો યોગાભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિની ગહનતાનો અનુભવ કરી રહ્યા છે.
યોગનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમ્યું હતું ત્યારે આ કપરાકાળમાં લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી હતી અને એમાંય યોગ-પ્રાણાયામ સાથેની જીવનશૈલી કોરોના જેવા રોગ સામે વધુ ઉપયોગી છે તે વધુને વધુ લોકો સ્વીકારતા થયા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
યોગને જીવનનો ભાગ બનાવવાની લોકોને કરી અપીલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સિદ્ધિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બે વર્ષ પહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ બોર્ડ દ્વારા ગુજરાતમાં 1 લાખથી વધુ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે અને આ ટ્રેનર અન્ય લોકોને યોગ શીખવાડી રહ્યા છે. આ અવસરે મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને યોગને જીવનનો ભાગ બનાવવાની તેમજ યોગ અપનાવીને રોગમુક્ત રહેવાની અપીલ પણ કરી હતી.
રાજ્યમાં યોગાસનોને એક સ્પોર્ટ્સ તરીકે માન્યતા મળી: હર્ષ સંઘવી
આ પ્રસંગે ગૃહ તથા યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર યોગ દિવસની ઉજવણીમાં સવા કરોડ લોકો જોડાયા છે, જે બતાવે છે કે ગુજરાતી લોકો યોગ માટે કેટલા જાગૃત છે. વધુમાં તેમણે જણાવ્યું કે આજે દેશમાં જ નહિ, દુનિયાના મોટાભાગના દેશોમાં વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે, એનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમાન યોગનો લાભ સમગ્ર વિશ્વને મળે અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશથી નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ યુનોની સભામાં મૂકેલો. ગુજરાત યોગ બોર્ડની સ્થાપના પછી ગામે ગામમાં યોગનું શિક્ષણ પહોંચ્યું હોવાનું જણાવી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યમાં યોગાસનોને એક સ્પોર્ટ્સ તરીકે માન્યતા મળી છે અને છેલ્લા ખેલ મહાકુંભમાં 78,000 યુવાનોએ યોગાસનો કરીને ભાગ લીધો.
હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ગુજરાતનાં 75 આઇકોનિક સ્થાનો પર પણ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે. વડાપ્રધાનની પ્રેરણાથી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ થઈ છે ત્યારે સ્વસ્થ ભારતનું નિર્માણ થશે, એવો આશાવાદ પણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.