Ahmedabad: સરોગેસીથી જન્મેલા બાળકની કસ્ટડી મામલે હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો, જાણો બાળકની કસ્ટડી કોને મળી
કાયદાની આંટીઘુંટીના કારણે બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને મળી શકી નહોતી. ત્યારે બાળકીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) હેબીયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી.
સરોગેસીના માધ્યમથી જન્મેલા બાળકની કસ્ટડી મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલ અરજી અંગે મહત્વનો ચુકાદો આવ્યો છે. આ બાળકીના જૈવિક પિતા તેની કસ્ટડી લેવા ખૂબ તત્પર હતા. ત્યારે કોર્ટે નવજાત બાળકની (Newborn baby) કસ્ટડી તેમના જૈવિક પિતાને સોંપી છે. ત્યારે હવે બાળકીની કસ્ટડી આપવાનો હાઇકોર્ટે ચુકાદો આપતા જૈવિક પિતાની આંખોમાં ખુશી જોવા મળી. કાયદાની આંટીઘુંટીના કારણે બાળકીની કસ્ટડી તેના જૈવિક પિતાને (Biological father) મળી શકી નહોતી. ત્યારે બાળકીના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) હેબીયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. જેમાં કોર્ટે જૈવિક પિતાના હકમાં ચુકાદો આપ્યો છે.
અરજદારે કાયદાની જોગવાઇ પર સવાલ કર્યા હતા
અગાઉ પણ આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે નવજાત બાળકના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે નવા જન્મેલા બાળકને માતાના ધાવણની આવશ્યકતા હોય છે, જેથી જો બાળકને તેને જન્મ આપનાર માતાથી અલગ કરી દેવામાં આવે તો બાળકનું શું થશે? પરંતુ અરજદારના એડવોકેટ પૂનમ મહેતા તરફથી યોગ્ય અને કાયદેસરની પ્રક્રિયા તથા તેની જોગવાઈઓ અનુસાર હાઈકોર્ટને માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગત સુનાવણી દરમિયાન કોર્ટે સરોગેસીને લગતા કાયદાની જોગવાઈઓ આ મામલે પણ અરજદારને સવાલો કર્યા હતા.
આ સમગ્ર મામલે પણ અરજદાર વતી તેમના એડવોકેટ રજૂઆત કરી કે સરોગેસીને લગતો કાયદો આવ્યાના થોડા સમય પહેલાં જ આ કેસમાં તમામ કાનૂની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. જેને કારણે નવા આવેલા નિયમો તેમને લાગુ પડતા નથી. આ ઉપરાંત એડવોકેટ તરફથી એ પણ રજૂઆત કરી કે સેરોગેટ માતા તરફથી બાળકની કસ્ટડી તેના જૈવિક પિતા ને આપવામાં કોઈ વાંધો નથી. આ તમામ પ્રક્રિયા બાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.
મહત્વનું ગણી શકાય અગાઉની સુનાવણીમાં અરજદાર જૈવિક પિતા વધી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, બાળકને જન્મ આપનાર માતા બાળકની કસ્ટડી આપવા માટે તૈયાર છે અને પિતા તેની કસ્ટડી લેવા માટે તૈયાર છે. તો પોલીસને વાંધો કેમ હોઈ શકે? સાથે જ નવજાત બાળકને માતાની સાથે જેલમાં રાખવું તે પણ યોગ્ય નથી. આ ઉપરાંત એ પણ રજૂઆત કરી કે ઘણા કિસ્સામાં સરોગેસીના માધ્યમથી જન્મ થયા બાદ સંતાનોની કસ્ટડી સોંપી દેવામાં આવતી હોય છે.
સરોગેટ મધરની થઇ હતી ધરપકડ
ઘટના કઇક એવી છે કે મૂળ રાજસ્થાનના અજમેરના પતિ-પત્ની સરોગસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ ઇચ્છતા હતા. જેથી તેઓ એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા. જે પછી ડોકટરના માર્ગદર્શન હેઠળ આ દંપતીએ સરોગસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. જે પછી મહિલા સગર્ભા પણ બની હતી. જો કે તેના સગર્ભાકાળ દરમિયાન જ મહિલા સામે ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. મહિલા પર એક બાળકનું અપહરણ કરવાનો આરોપ લાગ્યો હતો. આ ગુના અંતર્ગત પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી. જે બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી.
જેલવાસ દરમિયાન જ પ્રસુતિની પીડા ઉપડી
ધરપકડ કરાયેલી મહિલાને તેના જેલવાસ દરમિયાન જ પ્રસુતિની પીડા ઉપડી હતી. બે દિવસ પહેલા જ તેણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે. બાળકીનો જન્મ થયા બાદ તેની કસ્ટડી તેના પિતાને સોંપી દેવામાં આવી હતી, જો કે પોલીસે કેટલાક કાયદા હેઠળ બાળકીની કસ્ટડી પરત લઇ લીધી હતી અને બાળકીને સરોગેટ મધરને પરત સોંપી હતી. અરજદારના પરિવારજનો દ્વારા પોલીસ પ્રશાસનને બાળકીને પરત આપવા માટે રજુઆત કરી પરંતુ કાયદાની મર્યાદા હોવાથી તે ન સોંપી શકાઈ. જેથી પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં બાળકીની કસ્ટડી મેળવવા માટે અરજી દાખલ કરી હતી.