મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં પીડિતોએ રજૂ કર્યુ સોગંદનામું, રાજ્ય સરકારે આપેલા વળતર પર અસંતોષ વ્યક્ત કર્યો
Morbi News : ઓક્ટોબરના અંતમાં મોરબીમાં બ્રિજ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સુઓમોટો અરજી દાખલ કરી હતી.
મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો, પુલ તૂટી પડવાને કારણે મોતને ભેટ્યા હતા. ત્યારે મોરબી કેબલ બ્રિજ તૂટવા મામલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સરકારે યોગ્ય વળતર ન આપ્યુ હોવાની રજૂઆત હાઇકોર્ટમાં પીડિતોએ કરી છે. પીડિતોએ સરકારે આપેલા વળતર પર અસંતોષ વ્યક્ત કર્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં મૃતકોનાં પરિવાર દ્વારા સોગંદનામુ કરવામાં આવ્યુ છે. જેમાં માત્ર 10 લાખ રુપિયા જ વળતર આપવા પર સરકાર ચૂપ કેમ છે તેવુ જણાવવામાં આવ્યુ છે.
ઓક્ટોબરના અંતમાં મોરબીમાં બ્રિજ ધરાશાયી થઇ ગયો હતો. જેમાં 135 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે સુઓમોટો અરજી દાખલ કરી હતી. તે અરજીના સંદર્ભમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી એક વાર સુનાવણી હાથ ધરાઇ હતી. તે દરમિયાન મૃતકના જે પરિવારજનો તરફથી સોગંદનામુ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવ્યુ છે તેમાં કેટલાક મુદ્દા ટાંકવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના વળતર મામલે પીડિતો અસંતુષ્ટ
સોગંદનામામાં 1990માં દિલ્હીમાં થયેલી અગ્નિકાંડની એક ઘટનાને ટાંકવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે 1990ની ઘટનામાં પરિવારજનોને તેના વળતર રુપે એક કરોડની રકમ મળી હતી. તો વર્ષ 2022માં થયેલા બ્રિજ દુર્ઘટના કાંડમાં માત્ર 10 લાખ રુપિયા જ સરકાર કેવી રીતે આપી શકે. પીડિતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હાલ સરકાર અમને માત્ર 10 લાખ આપીને ચૂપ કેમ છે. સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યુ છે તેના પર પીડિતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.
મહત્વનું છે કે મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો.135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું.મોરબી પોલીસે આજે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.અત્યાર સુધી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં કુલ 9 લોકોને આરોપી બનાવાયા હતા.
શું હતી દુર્ઘટના?
મોરબીમાં દીવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. . આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે મચ્છુ નદીમાં પડેલા લોકોને શોધવા માટે 30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન 4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું. મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા. બે દિવસ સુધી પણ કોઈ પણ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો ન હતો.