તળાવોના વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્ય સરકાર હસ્તકના વધુ 81 તળાવોનું બ્યુટિફિકેશન કરાશે
અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરાશે. મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદના (Ahmedabad) નાના-મોટા તળાવોના વિકાસ અને બ્યુટિફિકેશનને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. તળાવોનો વિકાસ સાથે પર્યાવરણની (environment) જાળવણી થાય તેવા હેતુસર AMCને 81 તળાવોની કામગીરી સોંપવામાં આવી છે. આ તમામ તળાવોનો (Lake) વિકાસ તથા બ્યુટિફિકેશન સહિતની કામગીરી હવે AMC કરશે. અગાઉ રાજ્ય સરકારે AMCને 21 તળાવોની કામગીરી સોંપી હતી. જેમાં AMCએ નોંધપાત્ર કામગીરી કર્યા બાદ, રાજ્ય સરકારે વધુ તળાવોની કામગીરી સોંપવાનો લીધો છે. નવા તળાવો સાથે હવે AMC પાસે કુલ 102 તળાવોના વિકાસની જવાબદારી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન સુખાકારી માટે મોટો નિર્ણય
અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના 81 તળાવો અમદાવાદ મહાનગર પાલિકાને ‘લેક ડેવલપમેન્ટ ‘ (જનહિત વિકાસ કામો) માટે ફાળવ્યા છે. સિટી બ્યુટીફિકેશન ‘લેક ડેવલપમેન્ટ’ અન્વયે અત્યાર સુધી રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરપાલિકાને 21 તળાવો ફાળવ્યા હતા. હવે વધારાના આ 81 તળાવો સાથે કુલ 102 તળાવો રાજ્ય સરકાર દ્વારા ફાળવાયા છે. આ સાથે પર્યાવરણ જાળવણી સાથે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને નગરજનો માટે હરવા ફરવાના સ્થળો વિકસાવી ઈઝ ઓફ લિવિંગ વધારવાની રાજ્ય સરકારે નેમ લીધી છે. અમદાવાદ મહાનગર પાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી 15માં નાણાં પંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે.
અમદાવાદના આ મુખ્ય વિસ્તારોમાં તળાવોનું બ્યુટિફીકેશન
અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા આવા સરકાર હસ્તકના તળાવો મહાનગરપાલિકાને ફાળવીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ કરાશે. મુખ્યમંત્રીએ જે 81 તળાવો મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાળવવાનો નિર્ણય કર્યો છે, તેમાં મુખ્યત્વે રામોલના 11, વટવાના 10, વસ્ત્રાલના 7, નારોલના 5, રાણીપના 3, નિકોલના 3, ભાડજ અને હાથીજણના 2-2, તેમજ મોટેરા, ચાંદખેડા, લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના 1-1 વગેરે તળાવોનો સમાવેશ થાય છે.
લેક ડેવલપમેન્ટ થતા અમદાવાદના નાગરિકોને હરવા-ફરવાના સ્થળ મળશે. તળાવોના ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રન પ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદના સાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટ લેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગર પાલિકા હાથ ધરશે. એટલું જ નહીં, આ તળાવો બારેય માસ ભરેલા રહે અને તળાવોનું પાણી પ્લાન્ટેશનમાં રી-યુઝ કરી શકાય તે માટે મિની સિવેજ પ્લાન્ટ અને સ્ટ્રોમ વોટર લાઈનથી પણ તળાવોમાં પાણી યથાવત રખાશે. પરકોલેશન વેલના નિર્માણથી તળાવોનું પાણી સંચય થતા ગ્રાઉન્ડ વોટર લેવલ પણ ઊંચું આવશે.