ડોક્ટરે પથરીના બદલે આખી કીડની જ કાઢી નાખી, હવે ચુકવવું પડશે લાખો રૂપિયાનું વળતર
2011માં દેવેન્દ્રભાઇ રાવલનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં તેમની ડાબી કિડનીમાં 14 મીમીનો પથ્થર હોવાનું સામે આવ્યું હતું.
AHMEDABAD : ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે બાલાસિનોર (Balasinor)ની KGM જનરલ હોસ્પિટલને એક દર્દીના સગાને રૂ.11.23 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ દર્દીને કીડનીમાં પાથરી હોવાથી આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જો કે હોસ્પિટલના ડોક્ટરે પથરી(Stone)ના બદલે આખી કીડની (kidney)જ કાઢી નાખી હતી. આ ઘટના બાદ ચાર મહિના પછી તે દર્દીનું મૃત્યુ થયું હતું.
ગ્રાહક અદાલતે જણાવ્યું હતું કે હોસ્પિટલ તેના કર્મચારીના બેદરકાર કૃત્ય માટે પ્રત્યક્ષ કે પરોક્ષ જવાબદારી ધરાવે છે. આ કેસમાં હોસ્પિટલ ઓપરેશન કરનાર ડોક્ટર, તેની કામગીરી અથવા કમિશન માટે જ જવાબદાર નથી, પણ તેના કર્મચારીની બેદરકારી માટે પણ જવાબદાર છે. આ કેસમાં કોર્ટે દર્દીના સગાને 2012થી 7.5 ટકા વ્યાજ સાથે રૂ.11.23 લાખનું વળતર ચુકવવા હોસ્પિટલને આદેશ કર્યો છે.
આ કેસમાં ખેડા (Kheda) જિલ્લાના વાંઘરોલી (Vanghroli) ગામના દેવેન્દ્રભાઇ રાવલે પીઠનો દુખાવો અને પેશાબમાં તકલીફના કારણે બાલાસિનોર શહેરની KMG જનરલ હોસ્પિટલના ડો.શિવુભાઇ પટેલની સલાહ લીધી હતી. મે 2011માં તેમનું નિદાન કરવામાં આવ્યું હતું જેમાં તેમની ડાબી કિડનીમાં 14 મીમીનો પથ્થર હોવાનું સામે આવ્યું હતું. દેવેન્દ્રભાઇ રાવલને વધુ સારી સુવિધાવાળી હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે તે જ હોસ્પિટલમાં સર્જરી કરાવવાનું નક્કી કર્યું. 3 સપ્ટેમ્બર, 2011 ના રોજ તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્જરી બાદ પરિવારને આશ્ચર્ય થયું જ્યારે ડોક્ટરે કહ્યું કે પથરીને બદલે કિડની કાઢવી પડી છે. ડોક્ટરે કહ્યું કે તે દર્દીના હિતમાં કરવામાં આવ્યું છે.
જ્યારે દેવેન્દ્રભાઇ રાવલે પેશાબ કરવામાં વધુ તકલીફ થવા લાગી ત્યારે તેમને નડિયાદની કિડની હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપવામાં આવી. બાદમાં જ્યારે તેમની હાલત વધુ ખરાબ થઈ ત્યારે તેમને અમદાવાદની સરકારી કીડની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 8 જાન્યુઆરી, 2012 ના રોજ કિડની ન હોવાને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા.
મૃતક દેવેન્દ્રભાઇના પત્ની મીનાબેને નડિયાદમાં ગ્રાહક તકરાર નિવારણ પંચનો સંપર્ક કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ પંચે ડોક્ટર, હોસ્પિટલ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડને તબીબી બેદરકારી બદલ મીનાબેનને રૂ. 11.23 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો : અમદાવાદમાં ત્રીજો ડોઝ : દિવાળી પછી બંને ડોઝ લેનારા નાગરિકોને બુસ્ટર ડોઝ આપવાની AMCની તૈયારી
આ પણ વાંચો : BANASKANTHA : જિલ્લાના 3 જળાશયોમાં પાણીનો અપૂરતો જથ્થો, સિંચાઇ-પીવાના પાણીની સમસ્યાને લઇને સવાલો