Breaking News: ગુજરાત ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાયા, મુકુલ વાસનિકના બદલે રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ કમાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારી બદલવાની ચર્ચાએ વચ્ચે રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના મહાસચિવ પ્રભારીની જવાબદારી સોંપાઈ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટાપાયે સંગઠનમાં ફેરબદલ કર્યા છે. જેમા સૌથી મોટી ફેરબદલ પ્રભારીની નિમણૂકથી જ શરૂઆત કરી છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકને બદલે હવે રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત કોંગ્રેસની કમાન રણદીપસિંહ સુરજેવાલાને સોંપાઈ છે. વર્તમાન પ્રભારી મુકુલ વાસનિકે આ જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાને રાખી હવે તેમને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરાયા છે અને હવે રણદીપસિંહ સુરજેવાલાને આ કમાન સોંપાઈ છે. રણદીપ સુરજેવાલાને ગુજરાત પ્રભારી સહિત કર્ણાટકની પણ વધારાની જવાબદારી સોંપાઈ છે.
ગુજરાત સહિત 6 રાજ્યોના પ્રભારી પણ બદલાયા
ગુજરાત સહિત અન્ય 6 રાજ્યોના પ્રભારી પણ બદલવામાં આવ્યા છે. કોંગ્રેસમાં મોટા સંગઠનાત્મક ફેરબદલ અંતર્ગત છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પંજાબના પ્રભારી પદેથી હટાવી દેવાયા છે. હવે તેમને આસામની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે સચિન પાયલોટને પંજાબના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે.
સચિન પાયલોટને પંજાબના પ્રભારી બનાવાયા
કોંગ્રેસ હાઈકમાન્ડે સંગઠનમાં મોટા ફેરબદલ કરતા ભૂપેશ બઘેલને પંજાબ રાજ્યના પ્રભારી પદેથી હટાવી અસમની જવાબદારી સોંપી છે. ચર્ચાઓ એવી પણ છે કે છેલ્લા લાંબા સમયથી પંજાબ કોંગ્રેસમાં આંતરિક ઝઘડા અને જૂથવાદ વચ્ચે પાર્ટીએ સંગઠનને મજબૂત કરવા માટે આ નિર્ણય લીધો છે. આ સંગઠનાત્મક બદલાવ વચ્ચે સચિન પાયલોટન પંજાબ કોંગ્રેસના નવા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
સુરજેવાલાને ગુજરાત સહિત કર્ણાટકની પણ જવાબદારી
પાર્ટી દ્વારા જારી કરાયેલી સંગઠનાત્મક યાદી અનુસાર સુખદેવ ભગતને છત્તીસગઢના નવા પ્રભારી નિયુક્ત કરાયા છે. આ સાથે જ ડૉ સિરિવેલ્લા પ્રસાદને મહારાષ્ટ્ર અને પી.વી. મોહનને આંધ્રપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ તમામ નિમણૂકો પાર્ટી અધ્યક્ષની મંજૂરી બાદ તાત્કાલિક અમલમાં આવી છે. સંગઠનાત્મક ફેરફાર વચ્ચે રણદીપસિંઘ સુરજેવાલાને ગુજરાત ના મહાસચિવ પ્રભારીની સાથે-સાથે કર્ણાટકના મહાસચિવ પ્રભારીની પણ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યુ છે કે મુકુલ વાસનિક AICC ના મહાસચિવ પદ પર યથાવત રહીને તેમની જવાબદારી પહેલાની જેમ જ જારી રાખશે.
Input Credit- Narendra Rathod