Ahmedabad: ‘શાળાઓ બંધ પણ શિક્ષણ ચાલુ’, સ્માર્ટફોન ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે સરકારી શાળાના શિક્ષકોએ શેરી કલાસ કર્યા શરૂ
કોરોના મહામારીને કારણે ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ સરકારી શાળાઓના કેટલાક વિદ્યાર્થી એવા છે જેમની પાસે મોબાઈલ કે સ્માર્ટ ફોન નથી. જેના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહે છે.
Ahmedabad: કોરોના (Corona)ને કારણે છેલ્લા દોઢ વર્ષથી રાજ્યમાં પ્રાથમિક શાળાઓ બંધ છે. શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષણ (Education) તો ચાલુ જ છે. વસ્ત્રાપુરમાં સરકારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને શેરી અને ફળીયામાં જઈને અનોખી રીતે અભ્યાસ કરાવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ નથી મેળવી શકતા તેવા વિદ્યાર્થીઓને ફળીયા શિક્ષણ દ્વારા અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.
કોરોના મહામારીને કારણે ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ સરકારી શાળાઓના કેટલાક વિદ્યાર્થી એવા છે જેમની પાસે મોબાઈલ કે સ્માર્ટ ફોન નથી. જેના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત રહે છે. ત્યારે ઓનલાઈન અભ્યાસ ના કરી શકનાર વિદ્યાર્થીઓને ઘરે જઈને શિક્ષણ આપવાનું કામ સ્કૂલ બોર્ડના શિક્ષકો કરી રહ્યા છે. કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત વસ્ત્રાપુર પ્રાથમિક શાળાના શિક્ષકો સ્કૂલના 1થી 8 ધોરણના 343 વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓની શેરી કે ફળીયામાં જઈને અભ્યાસ કરાવે છે.
વસ્ત્રાપુર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક જયેશ પટેલે જણાવ્યું હતું કે વસ્ત્રાપુર ગામમાં અનેક વિદ્યાર્થીઓ એવા છે જેમની પાસે સ્માર્ટ ફોન નથી. જેના કારણે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓના અલગ અલગ ગ્રુપ બનાવી શિક્ષકો તેમના ફળીયામાં કે શેરીમાં જ તેમને અભ્યાસ કરાવવા જાય છે. પગી વાસમાં વિદ્યાર્થીઓને સોસાયટીના ફળિયામાં બેસાડીને અભ્યાસ કરાવતા શિક્ષક મીનાબેન સોલંકીએ જણાવ્યું હતું કે સ્કૂલના 10 શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવવામાં આવ્યા છે.
ઓનલાઈન અભ્યાસ ન કરી શકનાર વિદ્યાર્થીઓને ઘરે જઈ અભ્યાસ કરાવે છે શિક્ષકો
10થી 12 વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવી શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરની નજીક શેરીમાં કે ફળીયામાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. વસ્ત્રાપુર ગામમાં મોટો ઠાકોરવાસ, ભરવાડ વાસ, પગી વાસ, કુંભાર વાસ સહિત 9 જગ્યાએ શેરી શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. ઓનલાઈન અભ્યાસ ન કરી શકનાર વિદ્યાર્થીઓને શિક્ષકો તેમના ઘરે જઈને અભ્યાસ કરાવે છે.
સ્કૂલ બોર્ડની સરકારી શાળાના શિક્ષકોના આ પ્રયાસને વાલીઓએ પણ આવકર્યો હતો. જે વાલીઓ સ્માર્ટફોન કે ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે જરૂરી સાધનો ખરીદી શકે તેમ નથી તેમના માટે સરકારી શાળાના શિક્ષકોનું ફળીયા શિક્ષણ ઓનલાઈન શિક્ષણને પણ ટક્કર મારીને આગળ નીકળી ગયું છે.
વાલી વિષ્ણુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમની પાસે સ્માર્ટ ફોન નથી માત્ર સાદો ફોન છે. સાદો ફોન હોવાથી તેમનો બાળક ઓનલાઈન શિક્ષણ મેળવી શકતો નથી. ત્યારે શાળાના શિક્ષકો ફળિયામાં જ અભ્યાસ કરાવવા આવતા તેમના પુત્રનો અભ્યાસ સારી રીતે થઈ રહ્યો છે.સ્કૂલ બોર્ડની શાળાઓના શિક્ષકો માત્ર વસ્ત્રાપુરમાં જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે શેરી શિક્ષણ આપવાનું કામ કરી રહ્યા છે.
જે વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ નથી મેળવી શકતા તેવા વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડી રાખવા શિક્ષકો જ વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને અલગ અલગ સમયમાં અલગ શિક્ષકો દ્વારા એક એક કલાક ભણાવવામાં આવે છે. જેમાં ગણિત, પર્યાવરણ, વિજ્ઞાન જેવા અઘરા વિષયો ભણાવવામાં આવે છે. સરકારી શાળાઓના શિક્ષકોનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે.
આ પણ વાંચો: Ahmedabad : AMC ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 11 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કાર્યો મંજૂર કરાયા