અમદાવાદમાં આખરે 15 કલાકની જહેમત બાદ લાલ દરવાજા નજીક ટ્યુટોરિયલ માર્કેટના ભોંયરામાં લાગેલી આગ પર કાબુ કરી શકાયો છે. ત્રણ દરવાજા નજીક આવેલ ટ્યુટોરિયલ માર્કેટના બેઝમેન્ટમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ ભોંયરામાં રાખવામાં આવેલા આર્ટિફિશ્યલ ફુલોને કારણે આગ ફેલાઈ હતાી. બેઝમેન્ટની નજીક આવેલા એસડી ફ્લાવર નામના ગોડાઉનમાં આર્ટિફિશ્યલ ફુલોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તેના કારણે આગ પ્રસરીને અન્ય ગોડાઉન સુધી ફેલાઈ હતી. વેપારીઓએ સમયસૂચક્તા વાપરીને નજીકના ફાયર સ્ટેશનને ફોન કરી તાત્કાલિક બોલાવી લેતા જાનમાલનું નુકસાન થતુ અટકાવ્યુ હતુ.
ફાયર અધિકારીના જણાવ્યા મુજબ જો થોડો પણ વિલંબ થયો હોત તો આ આગ બેઝમેન્ટમાંથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી કે પહેલા માળ સુધી ફેલાઈ હોત અને તેના કારણે આસપાસની 250 થી 300 દુકાનો તેની ચપેટમાં આવી ગઈ હોત. સાંકડી જગ્યા અને ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાને કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ કરવામાં ભારે પરેશાની અને જહેમત ઉઠાવવી પડી હતી. ટ્યુટોરિયલ માર્કેટમાં 120થી વધુ દુકાનો આવેલી છે. ભોંયરામાંથી બહાર આવેલો ધુમાડો માર્કેટમાં ફેલાતાની સાથે જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
આગ એટલી વિકરાળ હતી કે આખી રાત સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંતે આગ પર કાબુ કરાયા બાદ પણ ઘટનાસ્થળ પર કુલિંગ કરવા માટે સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જો કે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. સતત પાણીનો મારો ચલાવવાને કારણે બેઝમેન્ટમાં પાણી ભરાવાથી 80 થી વધુ વાહનો ડૂબ્યા છે. એકતરફ બેઝમેન્ટ હોવાને કારણે અને આગ ફરી ન ફેલાય તે માટે ફાયરવિભાગ દ્વારા 15 કલાક સુધી સતત કામગીરી કરવામાં આવી હતી. હાલ આગને કારણે ત્રણ દરવાજાથી પાનકોર નાકા સુધીની માર્કેટ બંધ રાખવામાં આવી છે.
માર્કેટમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ન હોવાનુ પણ સામે આવ્યુ છે. ફાયર અધિકારીના જણાવ્યા મુજબ 25 થી 30 વર્ષ જુની ઈમારત હોવાથી એસ્ટેટ વિભાગના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. હવે તેઓ તપાસ રિપોર્ટ સોંપશે. પોલીસ અને FSLની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. સાંકડી જગ્યા હોવાને કારણે ફાયરકર્મીઓને આગ પર કાબુ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન કેટલાક ફાયર કર્મીઓ પણ ગરમી અને ધુમાડાની અસર થતા બેભાન થયા હતા. જેમને 108 મારફતે સારવાર અર્થે SVP હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
Published On - 4:12 pm, Fri, 24 May 24