સંતો અને સૈનિકોનો સંગમ: જમ્મુથી દાંડીની મહારેલી કરતા BSF જવાનોનું આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીએ કર્યું સ્વાગત
"આઝાદી કા અમૃત મહોત્સવ" ના ભાગ રૂપે જમ્મુથી દાંડી ગુજરાત સુધી લગભગ 1700 કિલોમીટરની મહા રેલીનું આયોજન થયું હતું. જેમાં ભારતીય જવાનોનું સ્વાગત આચાર્ય જીતેન્દ્રિયપ્રિયદાસ સ્વામીએ કર્યું.
ભારત સરકાર દ્રારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત જમ્મુથી દાંડી ગુજરાત સુધી લગભગ 1700 કિલોમીટરની મહા રેલીનું આયોજન થયું છે. આ આયોજન પર ઉપસ્થિત બીએસએફના જવાનોનું મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ સ્વાગત કર્યું હતું. તેમજ અમદાવાદ નગરના શહેરીજનોએ ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન આ સાયકલ યાત્રાને ઉત્સુકતાથી વધાવી હતી.
ખાસ વાત એ છે કે દેશની સરહદોની સુરક્ષા દિનરાત ખડેપગે રહેતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ કાશ્મીરથી દાંડી – ગુજરાત સુધીની એક અનોખી સાયકલ યાત્રાનું આયોજન કર્યું છે. ગાંધી જયંતી, 2 ઓક્ટોબરના રોજ આ સાયકલ યાત્રા દાંડી પહોંચી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
દેશની સુરક્ષામાં તૈનાત રહેતા જવાનો એક અનોખા મિશન હેઠળ આ યાત્રાએ નીકળ્યા છે ત્યારે તેમનું સ્વાગત અને સમ્માન કરવામાં આવ્યું. ભારત રાષ્ટ્રના સીમાડાઓ સાચવનારા આ જાંબાજ જવાનો “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત એકતા અખંડિતતા અને ફિટનેસના ધ્યેય મંત્ર સાથે નીકળ્યા છે. અને તેઓ સમાજમાં તેની હકારાત્મક અસર અને સંદેશો પહોંચાડવા માંગે છે.
આગળના કાર્યક્રમ અનુસાર 27 મી સપ્ટેમ્બરે સવારે સાયકલ યાત્રા અમદાવાદથી આણંદ જવા પ્રસ્થાન કરવાની હતી. આ દરમિયાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સન્ 1965 અને 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બી.એસ.એફના જવાનો અને સૈનિકો માટે મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીએ બ્લડ ડોનેશન કેમ્પ, મોટરગાડી વગેરે નાની મોટી અનેક જરૂરિયાતોની સુવિધા પુર્ણ કરી હતી. તેમજ ગુરુદેવ મુક્તજીવન સ્વામીબાપાના દેશદાઝના આવા કાર્યની વાતોને યાદ કરીને સ્વામીએ ખાવડા બોર્ડર તથા વાઘા બોર્ડર – પંજાબ પર દેશની રક્ષા કરનાર બીએસએફના જવાનો અને સૈનિકોને પ્રેમથી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેમની જરૂરિયાત સેવા યથાશક્તિ પૂર્ણ કરી હતી.
આ પાવન અવસરે બીએસએફના એ.કે.તિવારી (કમાન્ડટ) સરબજીત સિંઘ, પ્રેમ સિંઘ, મહેન્દ્ર સિંઘ, અજમેર રાણા, વિશાલ સોલંકી એ.કે.ઝા, ડો. સત્યાનંદ વગેરે પોલીસ અધિકારીઓ, શિવમ્ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર પ્રકાશ કૂરમી વગેરે અનેક લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહી અને બીએસએફના જવાનોને જુસ્સો તેમજ ઉત્સાહ પ્રેર્યો હતો.
આ પણ વાંચો: GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 27 સપ્ટેમ્બરે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, 23 દિવસથી એક પણ મૃત્યુ નહી
આ પણ વાંચો: Monsoon: દક્ષિણ ગુજરાત સહીત આ વિસ્તારોમાં વરસી શકે છે ભારે મેઘ, જાણો હવામાન વિભાગની આગાહી