Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી રીતે થશે ઉજવણી, પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ‘અંગદાન’ના લીધા શપથ
આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે વિવિધ સ્થળો પર લોકોને જાગૃત કરવા કાર્યક્રમો રખાયા છે. જે કાર્યક્રમના ભાગરૂપે આજે અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર ખાતેના અંધજન મંડળ ખાતે કાર્યક્રમ રખાયો.
17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (Prime Minister Narendra Modi Birthday) છે. જે જન્મદિવસની દેશભરમાં લોકો ઉજવણી કરવાના છે. ત્યારે વડાપ્રધાનના જન્મદિવસની અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અંગદાન દિવસ તરીકે ઉજવણી કરી રહ્યું છે. જેને લઇને આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે વિવિધ સ્થળો પર લોકોને જાગૃત કરવા કાર્યક્રમો રખાયા છે. જે કાર્યક્રમના ભાગરૂપે આજે અમદાવાદના (Ahmedabad) વસ્ત્રાપુર ખાતેના અંધજન મંડળ ખાતે કાર્યક્રમ રખાયો. જ્યાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ (Blind) બાળકોને અંગદાન અંગે સંકલ્પ લેવડાવ્યો. જેથી કરી લોકોના જીવ બચાવી શકાય.
પ્રજ્ઞાચક્ષુ બાળકોનો ‘અંગદાન’નો સંકલ્પ
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટનું માનવુ છે કે, પ્રજ્ઞાચક્ષુ બાળકો અંગદાન કરે તો તેનાથી લોકોને પ્રેરણા મળે અને વધુમાં વધુ લોકો અંગદાન કરતા થાય જેના કારણે તેઓએ આ કાર્યક્રમની શરૂઆત અંધજન મંડળથી કરી છે. જ્યાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને અંધજન મંડળના સ્ટાફે પ્રજ્ઞાચક્ષુ બાળકો સાથે અંગદાનના સંકલ્પ કર્યા. તેમજ સંકલ્પ કરીને ઓનલાઈન અને ઓફલાઈન અંગદાનની નોંધણી કરવાની પણ પ્રક્રિયા કરી હતી. જે કાર્યક્રમને અંધજન મંડળના જનરલ સેક્રેટરી ભૂષણ પુનાનીએ આવકાર્યો.
અંગદાન અંગે જાગૃતિ લાવવા પહેલ
તો બીજી તરફ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ભાઈએ જણાવ્યું હતું કે, દેશમાં પાંચ લાખ લોકો અંગદાનની રાહ જોઈને જીવન સાથે લડત ચલાવી રહ્યા છે. જેમને અંગ મળે અને તેમના જીવ બચી શકે તે માટે અંગદાન જરૂરી છે અને માટે જ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ લાવવા તેઓએ આ કાર્યક્રમની શરૂઆત કરી છે. તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખની વાત માનીએ તો સિવિલમાં હાલ સુધી 92 લોકોએ અંગદાન કર્યું છે. જે 92 લોકોના અંગદાન થકી 160 કિડની, 60 લીવર, 25 હાર્ટ, 20 લંગ્સ અને 3 હાથ સહિત અંગો લોકોને મળતા તેઓના જીવ બચ્યા છે.
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંધજન મંડળના સેક્રેટરીનો એ પણ માનવું છે કે, લોકોમાં જેટલી અંગદાનને લઈને જાગૃતિ હશે તેટલું જ વધુ અંગદાન થશે અને તેનાથી અંગ મેળવવા ઇચ્છતા લોકોને અંગદાન મળતા રાહત મળશે તેમ જ જીવ પણ બચશે અને ત્યારે જ તેમનો આ સંકલ્પ ખરા અર્થમાં સાર્થક થશે તેવું પણ તેમનું માનવું છે.