Ahmedabad: ધર્મની આડમાં લોકોની આસ્થા સાથે રમત રમી ત્રિપુટીએ અનેક લોકોને લગાવ્યો ચુનો, પોલીસે ધુતારુ ગેંગની કરી ધરપકડ
Ahmedabad: જો તમને કોઈ મંદિરના પૂજારી કે દરગાહના ખાદીમ બનીને સરનામુ પૂછવા આવે તો ચેતી જજો. અમદાવાદમાં સાસુ, સસરા અને જમાઈની એક એવી જ ત્રીપુટી પકડાઈ છે. જે ધર્મના નામે ધતિંગ આચરી લોકોની આસ્થા સાથે રમત રમી ઠગાઈ આચરતા હતા, વાંચો શું હતી તેમની મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે લોકોની તેમની વાતોમાં ફસાવી લગાવતા હતા ચુનો.
![Ahmedabad: ધર્મની આડમાં લોકોની આસ્થા સાથે રમત રમી ત્રિપુટીએ અનેક લોકોને લગાવ્યો ચુનો, પોલીસે ધુતારુ ગેંગની કરી ધરપકડ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/frauds-1.jpg?w=1280)
Ahmedabad: આજકાલ શહેરમાં એવા અનેક ધુતારાઓ ફરી રહ્યા છે, જેઓ ધર્મના નામે લોકોને લૂંટી રહ્યા છે. ધર્મની આડમાં લોકોને પોતાની વાતોમાં ફસાવી ઠગાઈ આચરી રહ્યા છે. એક એવી જ ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી છે જેનો કોઈ ધર્મ નથી. પરંતુ પૈસા માટે તેઓ લોકોની આસ્થા સામે રમત રમી દાગીના સહિતની કિમતી ચીજો લૂંટી ફરાર થઈ જતા હતા. સાસુ, સસરા અને જમાઈની આ ત્રિપુટી પૈસા માટે ક્યારેક મંદિરના પૂજારીના સ્વાંગમાં આવતી તો ક્યારેક દરગાહના ખાદીમ બનીને ઠગાઈ કરતા પણ અચકાતી ન હતી. આ ત્રિપુટીએ ગુજરાતના અનેક વિસ્તારોનાં ફરી આસ્થાના નામે લોકોને ચુનો લગાવતા હતા. પોલીસે આ ત્રિપુટીની ધરપકડ કરી વાસણા અને વસ્ત્રાપુરના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
વૃદ્ધ લોકોને ધર્મની વાતોમાં ભોળવી લૂંટી લેતા
ઈકબાલ શેખ, સલમા શેખ અને હૈદર શેખની પોલીસે ધરપકડ સઘન પૂછપરછ હાથ ધરી છે. સાસુ, સસરા અને જમાઈની આ ત્રિપુટીએ આતંક મચાવ્યો છે. પૈસા માટે તેઓ ધર્મના નામે ધતિંગ કરતા હતા અને ક્યારે મંદિરના પૂજારી કે દરગાહના ખાદીમ બનીને ઠગાઈ કરતા હતા. તેઓ હંમેશા સિનિયર સિટઝન્સને ટાર્ગેટ કરતા હતા. પોલીસના જણાવ્યા મુજબ વાસણા અને વસ્ત્રાપુરમાં આ ધુતારુ ગેંગએ સરનામુ પૂછવાના બહાને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને તેમના સોનાના દાગીના લઈને ફરાર થઈ જવાની ફરિયાદ નોંધાઈ છે. ઝોન 7 LCBએ બાઈક નંબરના આધારે આ ત્રિપુટી ગેંગને ઝડપી લઈ તેમની પૂછપરછ હાથ ધરી છે જેમા વધુ 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
સરનામુ પૂછવાના નામે વૃદ્ધો સાથે અંધશ્રદ્ધાની વાતો કરી વિશ્વાસ કેળવતા
પકડાયેલા ધુતારાઓ વૃદ્ધોને ટાર્ગેટ કરતા હતા. હિંદુઓ માટે પાવાગઢના પૂજારીના સ્વાંગમાં આવી જતા તો મુસ્લિમો માટે ગરીબ નવાઝની દરગાહના ખાદીમ બનીને ટાર્ગેટ કરતા હતા. આ ઠગ ટોળકી સુરતની રહેવાસી છે. જેઓ બાઈક પર આવતા હતા અને સોનાના દાગીના પહેરેલ વૃદ્ધ મહિલા કે પુરુષને આર.કે.શર્મા નામના દવાખાનાનું સરનામુ પૂછતા હતા. તેઓ પોતાની ઓળખ તેમના ગેટઅપ મુજબ પૂજારી તરીકેની અથવા તો ખાદીમ તરીકેની આપતા હતા અને અંધશ્રદ્ધાની વાતો કરી વૃદ્ધોને વિશ્વાસમાં લેતા હતા.
તેમની પાસેથી સોનાના દાગીના કઢાવી રૂમાલ કે પર્સમાં મુકાવી દૂધથી ધોઈને પહેરવાની સલાહ આપતા હતા. ત્યારબાદ ભગવાનના દર્શન કરવા માટે નજીકના કોઈ ઝાડ કે થાંભલાને અડવા મોકલતા હતા અને દાગીના લઈને ફરાર થઈ જતા. છેલ્લા ત્રણ વર્ષથી આ ઠગ ટોળકી સક્રિય હોવાનુ તપાસમાં ખૂલ્યુ છે. કોઈને શંકા ન જાય તે માટે તેઓ તેમનો ગેટઅપ બદલતા રહેતા હતા.
આ પણ વાંચો: Ahmedabad: સ્ટુડન્ટ વિઝાના અપાવવાના નામે એજન્ટે આચરી છેતરપિંડી, ખંખેરી લીધા 24.34 લાખ
ઠગ ત્રિપુટી સામે નોંધાયા ચોરીના 8 ગુના
પકડાયેલ ઠગ ત્રિપુટી ગેંગ વિરુદ્ધ અગાઉ ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં ઠગાઈ અને ચોરીને લઈને 8 ગુનાનો નોંધાયા હતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાદ અમદાવાદમાં પણ આ ઠગ ટોળકી સક્રિય થઈ હતી. વાસણા પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી..આ આરોપીએ અન્ય કોઈ ગુના આચર્યા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ.
અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો