Ahmedabad: અવિરત વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિઓના મોત, ધોધમાર વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત
શહેરમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી એક વ્યક્તિનું વીજ કરંટ લાગતા મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
Ahmedabad: શહેરમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે અમદાવાદના મણીનગર વિસ્તારમાંથી એક વ્યક્તિનું વીજ કરંટ લાગતા મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદી પાણી ભરવાના કારણે કરંટ લાગતા મોત નિપજ્યું હોવાની વાત સામે આવી રહી છે. ગોરના કુવા પાસે વરસાદી પાણી ભરાયા હતા જ્યાં બાઇક ચાલકનું કરંટ લાગતા મોત થયું હતું. બીજી તરફ સરસપુરમાં આઠ ઓરડીની ચાલી પાસે વરસાદી પાણીમાં પડી જવાથી ઇજાગ્રસ્ત બનેલા દેવચંદ પટોળે નામના વ્યક્તિ મોતને ભેટ્યા. મૃતકના ઘરમાં પિતા, પુત્ર અને બે બહેન જ રહે છે. પિતાનું મોત થતાં હવે પુત્ર પર જવાબદારીઓ આવી પડી છે.
One electrocuted to death in Maninagar area in #Ahmedabad #GujaratRains #AhmedabadRains #TV9News pic.twitter.com/BSOvbR5BXy
— Tv9 Gujarati (@tv9gujarati) July 24, 2022
મહત્વનું છે કે, ગત મોડી સાંજથી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સતત વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના ગોતા, ચાંદખેડા, જગતપુર, વેજલપુર, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક જાહેર માર્ગો અને સોસાયટીમાં પાણી ભરાયા હતા.
શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી સાંજે પડેલા ભારે વરસાદના લીધે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ ભારે વરસાદના પગલે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયું છે. જેના લીધે ખોખરા સકઁલ થી સીટીએમ સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી છે. તેમજ આજ રોજ આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ત્રિપદા સોસાયટી મધુવન સોસાયટી પાસે ગોર નો કૂવો ખાતે એક ઈસમ રણજીત પ્રજાપતિ રહે. હરિ દર્શન સોસાયટીને કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે આ ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટોરેન્ટ પાવરને જાણ કરી હતી.