Jagannath Rath Yatra 2025 : અમદાવાદમાં પહેલીવાર રથયાત્રાને મળ્યો ગાર્ડ ઓફ ઓનર, જુઓ Video
આ વર્ષે યોજાયેલી 148મી અષાઢી બીજની જગન્નાથ રથયાત્રા ઇતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો. રથયાત્રામાં 23844 પોલીસ જવાનો, 75 ડ્રોન, 3500 CCTV કેમેરા અને વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી.

આ વર્ષના અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઈતિહાસમાં નોંધપાત્ર બની છે. પહેલીવાર રથયાત્રાને અમદાવાદ શહેર પોલીસ તરફથી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો છે.
ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ તૈયારી સાથે આ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર એચ. વી. ધંધુકિયાએ માહિતી આપી હતી કે રથયાત્રા શરૂ થતી પહેલા ‘પહિંડવિધિ’ પહેલાં આ સન્માન અપાયું હતું. અગાઉની 147 રથયાત્રાઓમાં ક્યારેય એવું ન કરવામાં આવ્યું હતું.
Gujarat CM Bhupendra Patel arrives at Shree Jagannathji Mandir, Ahmedabad #RathaYatra #Rathyatra2025 #Rathyatra #AhmedabadRathyatra #AhmedabadRathyatra2025 #148thRathyatraAhmedabad #Gujarat #TV9Gujarati pic.twitter.com/RZ4l0q5ONq
— Tv9 Gujarati (@tv9gujarati) June 27, 2025
વિશાળ સુરક્ષા બંદોબસ્ત: 23844 પોલીસ જવાનો, 75 ડ્રોન, 3500 CCTV કેમેરા
આ રથયાત્રામાં લગભગ 12 થી 15 લાખ ભક્તો જોડાય છે, તેમજ VVIP અવરજવર પણ વધુ રહે છે. જેથી સમગ્ર યાત્રામાર્ગ પર અદભુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે:
-
કુલ 23844 પોલીસ જવાનો તૈનાત
-
75થી વધુ ડ્રોન, જેમાંથી 41 સરકારી
-
3500 થી વધુ CCTV કેમેરા
-
2872 બોડીવોર્ન કેમેરા, 240 ટેરેસ પોઈન્ટ, 25 વોચ ટાવર
-
8 મીની કન્ટ્રોલ રૂમ પણ સ્થાપવામાં આવ્યા છે
રથયાત્રાના 18 કિમીના માર્ગમાં દરેક મોહલ્લા, માર્ગ, અને છત પર સુરક્ષા દળો તૈનાત છે. શહેરના સંવેદનશીલ વિસ્તારો જેમ કે દરિયાપુર અને શાહપુરમાં RAF, CRPF, BSF સહિતના અર્ધસૈનિક દળોની વિશેષ તૈનાતી કરવામાં આવી છે.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ કમિશનર જી.એસ. મલિક અને DGP વિકાસ સહાય સંપૂર્ણ નિયંત્રણ અને દેખરેખ રાખી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત અપડેટ લઈ રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ મંદિર પહોંચશે તેવી શક્યતા છે.
રથોની ખાસ સુરક્ષા વ્યવસ્થા
ક્રાઈમ બ્રાંચ દ્વારા રથોની સુરક્ષા વ્યવસ્થાનું નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે. દરેક રથ પર પોલીસ કર્મચારીઓ અને CCTV કેમેરાવાળું વાહન હાજર રહેશે. ઉપરાંત ત્રણથી વધુ રિહર્સલ પણ કરવામાં આવી છે.