Ahmedabad: રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહના ઓછા પરિણામ માટે ડમી શાળાઓ જવાબદાર હોવાનો શિક્ષણ બોર્ડના સભ્યોનો દાવો, CMને પત્ર લખી ડમી શાળાઓ બંધ કરાવવા કરી માગ
Ahmedabad: વિજ્ઞાન પ્રવાહના ઓછા પરિણામ માટે ડમી શાળાઓ જવાબદાર હોવાનો દાવો શિક્ષણ બોર્ડના સભ્યોએ કર્યો છે. આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી ડમી શાળાઓ બંધ કરાવવાની માગ કરી છે. ડમી શાળાઓને કારણે રાજ્યનું શિક્ષણ ઊંડી ખાઈમાં જઈ રહ્યુ હોવાનો શિક્ષણ બોર્ડના સભ્યોએ દાવો કર્યો છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બે સભ્યોએ મુખ્યમંત્રીને ડમી શાળાઓ (Dummy School)ને લઈ પત્ર લખ્યો છે. ગત વર્ષના પરિણામો કરતા ઓછા પરિણામો આવવા અંગે લખેલ પત્રમાં સભ્યોએ રાજ્યમાં ચાલતી ડમી શાળાઓને ઓછા પરિણામ માટે કારણભૂત દર્શાવી છે. સભ્યોએ મુખ્યમંત્રીને ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવા પણ માંગ કરી છે.
શિક્ષણ બોર્ડના સભ્યોએ મુખ્યમંત્રીને ડમી શાળાઓ અંગે લખ્યો પત્ર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ગત વર્ષ કરતા ઓછું આવ્યું છે ત્યારે કોંગ્રેસ બાદ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસ અને પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ઓછા પરિણામ માટે ડમી શાળાઓને જવાબદાર ઠેરવી છે. બોર્ડના બંને સભ્યોએ દાવો કર્યો છે કે IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં ચાલતા કોચિંગ ક્લાસ ધોરણ 11 થી શરૂ થાય છે. જેમાં માત્ર કોચિંગ ક્લાસમાં જ જવાનું હોય છે અને શાળાઓમાં ડમી પ્રવેશ મેળવવાનો હોય છે.
મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં શું દાવો કરાયો?
પત્રમાં દાવો કરાયો છે કે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ – 10ની જાહેર પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં આવા ઉચ્ચ અભ્યાસ માટેના કોચિંગ ક્લાસ ધોરણ – 11થી જ શરૂ થાય છે, માટે IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ ધોરણ – 10 પાસ કર્યા બાદ સીધા કોચિંગ ક્લાસમાં જ પ્રવેશ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે.
આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ -12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતાં નથી. તેમજ યેન-કેન પ્રકારે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહ પ્રેક્ટિકલની પરીક્ષા માટે કેન્દ્ર પોતાની શાળામાં મેળવી લે છે. આમ ગુજરાતના શિક્ષણ જગતને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે.
તાજેતરમાં જાહેર થયેલ ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ દર્શાવે છે કે ગુજરાતનું શિક્ષણ ઊંડી ખાઈ તરફ જઈ રહ્યું છે, જેને બહાર નીકળતા વર્ષો લાગી શકે છે, આ સ્થિતિમાં ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં સત્વરે આવી ડમી શાળાઓની તપાસ કરી મંજૂરી રદ કરી જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવા અંગત ભલામણ અને માંગણી છે.
મુખ્યમંત્રીને લખાયેલો પત્ર
ગુજરાત બોર્ડની વ્યવસ્થા પર મોટો પ્રહાર: ધીરેન વ્યાસ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય ધીરેન વ્યાસે જણાવ્યું કે હાલ વાલી-વિદ્યાર્થીઓમાં માત્ર JEE અને NEET ની જ ઘેલછા લાગી છે. માત્ર કલાસમાં જ ભણવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની શાળાઓમાં પ્રવેશ મેળવ્યા બાદ તેમાં ભણતા નથી. ના ભણવાના કારણે ગુજરાત બોર્ડનું પરિણામ ઘટ્યું છે. આ સ્થિતિ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર મોટા પ્રહાર સમાન લાગી રહી છે અને એને રોકવો અને અટકાવવો જરૂરી. સરકાર ઇચ્છશે તો અમે સાથે રહી આવી ડમી શાળાઓને ખુલ્લી પાડીશું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…