Ahmedabad: સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટના કોન્ટ્રાકટ પરના કર્મચારીઓ જ રસ્તા પર ફેંકી રહ્યા છે કચરો
કોન્ટ્રાકટરોના કર્મચારીઓ દ્વારા અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટથી વિશાલા બ્રિજ જવાના રસ્તા પર જાહેરમાં કચરો ફેંકીને શહેરને ગંદુ કરી રહ્યા છે. જાહેર રસ્તા પર ફેંકાયેલા કચરાને કારણે આ રસ્તા પરથી પસાર થવું પણ રાહદારીઓને નર્ક જેવી સ્થિતિનો અનુભવ કરાવી રહ્યું છે.
અમદાવાદીઓને સ્વચ્છ અમદાવાદના સ્વપ્ના બતાવનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ‘ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે’ તેવો ઘાટ ઘડાયો છે. કારણ કે અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Ahmedabad Municipal Corporation) શિરે છે. તે AMCના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ (Solid Waste Department) દ્વારા જેમને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
તે કોન્ટ્રાકટરોના કર્મચારીઓ દ્વારા અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઈટથી વિશાલા બ્રિજ જવાના રસ્તા પર જાહેરમાં કચરો ફેંકીને શહેરને ગંદુ કરી રહ્યું છે. જાહેર રસ્તા પર ફેંકાયેલા કચરાને કારણે આ રસ્તા પરથી પસાર થવું પણ રાહદારીઓને નર્ક જેવી સ્થિતિનો અનુભવ કરાવી રહ્યો છે. રસ્તેથી પસાર થતાં રાહદારીઓને તીવ્ર દુર્ગંઘ સહન કરવી પડી રહી છે.
રસ્તા પર ઠાલવવામાં આવેલા કચરાને કારણે રાહદારીઓને પડતી હાલાકી અંગે જ્યારે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેકટર હર્ષદરાય સોલંકીને જાણ કરવામાં આવી, ત્યારે તેમણે આ સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે જ ટેક્નિકલ કારણોસર આ પ્રકારની પ્રવૃત્તિ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી હોવાનું નિવેદન આપ્યું હતું.
વધુમાં તેમણે ઉમેર્યું કે ચોમાસાની સીઝનમાં કચરો લઈને વાહન ડમ્પિંગ સાઈટ પર ચઢી શકતું નથી. જેને કારણે કેટલાક વાહનો દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવી છે. આ સાથે જ કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા પણ રાત્રી દરમ્યાન આ જગ્યા પર કચરો ઠાલવવામાં આવતો હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું છે. જેને લઈને આગામી દિવસોમાં આવી કંપનીઓ સામે પણ AMC દ્વારા કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
મહત્વનું છે કે કોરોનાકાળ દરમ્યાન શહેરને સ્વચ્છ રાખવા માટે AMC દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે JETની રચના કરવામાં આવી હતી. જેના અંતર્ગત શહેરને સ્વચ્છ બનાવવા સહિતની વિવિધ કામગીરી કરવામાં આવતી હતી. જેમાંની એક કામગીરી JETની ટીમ શહેરના અલગ અલગ વોર્ડમાં દુકાનો કે વેપાર ધંધાના સ્થળે ગંદકી હોય તો તેમની પાસે ઊંચો દંડ ઉઘરાવવાની પણ કરતી હતી.
ત્યારે આવી રીતે દંડાયેલા સામાન્ય નાગરિકો પણ ઈચ્છે છે કે જો નાગરિકોને કચરો ફેંકવા માટે દંડવામાં આવતા હોય તો આવી રીતે જાહેર રોડ પર કચરો ફેંકીને અમદાવાદ શહેરને ગંદુ કરનાર વ્યક્તિઓને પણ દંડ કરવો જોઈએ. જેથી ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય.
આ પણ વાંચો :Ahmedabad : ઠક્કરનગરની શ્રીજી હાઈસ્કૂલમાં 1 હજાર રૂપિયા એક્ટિવિટી ફી લેતા વાલીઓ વિફર્યા
આ પણ વાંચો : Ahmedabad : સંવેદના દિવસે સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, 55થી વધુ મુદ્દે લોકોને મદદ પૂરી પાડવામાં આવી