Ahmedabad: સરખેજ આશ્રમના વિવાદમાં હરિહરાનંદની ફરિયાદ બાદ ઋષિભારતી બાપુ DGPને મળ્યા, કહ્યું હરિહરાનંદ બાપુ ગુમ થવાના કેસમાં મારો કોઇ રોલ નથી
ઋષિભારતી બાપુએ દાવો કર્યો કે સરખેજ આશ્રમની જમીન વિવાદનો કેસ કોર્ટમાં છે. અને તેઓને આશ્રમની જમીનમાં કોઇ રસ નથી.
હરિહરાનંદ બાપુ (Hariharanand Bapu) ગુમ થવાના કેસમાં મારો કોઇ રોલ નથી. આ દાવો કર્યો છે સરખેજ ભારતી આશ્રમ (Sarkhej Ashram) ના મહંત અને હરિહરાનંદ બાપુના શિષ્ય ઋષિભારતી બાપુ (Rushibharati Bapu) એ. પોતે નિર્દોષ છે તે સાબિત કરવા ઋષિભારતી બાપુએ CID ક્રાઇમ દ્વારા તપાસની માગ સાથે. રાજ્ય પોલીસ વડાને રજૂઆત કરી હતી. ઋષિભારતી બાપુએ દાવો કર્યો કે સરખેજ આશ્રમની જમીન વિવાદનો કેસ કોર્ટમાં છે. અને તેઓને આશ્રમની જમીનમાં કોઇ રસ નથી. ઋષિભારતી બાપુને વિશ્વાસ છે કે યોગ્ય પોલીસ તપાસથી એ સિદ્ધ થઇ જશે કે પોતે નિર્દોષ છે. મહત્વપૂર્ણ છે કે 2જી મેની રાત્રે હરિહરાનંદ બાપુ વડોદરા નજીકથી ગુમ થયા હતા. અને આ કેસમાં તેમના જ શિષ્ય એટલે કે સરખેજ આશ્રમના મહંત ઋષિભારતી બાપુનું નામ ઉછળ્યું હતું. જોકે નાટકીય રીતે એક દિવસ બાદ હરિહારનંદ બાપુ મહારાષ્ટ્રના નાસિકથી મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે હરિહરાનંદ બાપુ તરફથી ઋષિ ભારતી બાપુ સામે સરખેજ પોલીસ ટ્સેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હરિહરાનંદ વતી સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે યદુનંદસ્વામી તેમજ અન્ય સાધુઓ પહોંચ્યા હતા. હરિહરાનંદ તેમજ તેમના અનુયાયીઓનો દાવો છે કે, ભારતી બાપુ દ્વારા કરવામાં આવેલા વિલમાં તેમને ઉત્તરાધિકારી બનાવવા કહેવાયું હતું, તેમજ વસિયતનામામાં ઋષિ ભારતીનો કોઈ ઉલ્લેખ જ નથી. ઋષિ ભારતી પર હરિહરાનંદબાપુ વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ મૂકતા યદુનંદસ્વામીએ આક્ષેપ કર્યા કે, આ સમગ્ર કાવતરું તેમને બદનામ કરવા માટે રચવામાં આવ્યું હતું. અને ખોટા તેમજ તથ્યવિહોણા આરોપ મૂકવામાં આવ્યા હતા.
તો બીજી તરફ, ઋષિ ભારતીએ એક હસ્તલિખિત વસિયતનામું જાહેર કરી પોતે ભારતી બાપુના ઉત્તરાધિકારી છે તેવો દાવો કર્યો છે. સાથે જ ઋષિ ભારતી બાપુએ યદુનંદન ભારતી બાપુ પર પણ આક્ષેપોનો મારો ચલાવતા જણાવ્યું કે, યદુનંદન ભારતી બાપુએ સરખેજ આશ્રમ પર હુમલો કરાવ્યો હતો. સાથે જ યદુનંદન ભારતી બાપુ ગુનાહિત ઈતિહાસ ધરાવાત હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા હતો.
તેમણે કહ્યું કે, 2021ના સરખેજ આશ્રમના વીલમાં મારૂ નામ છે. આ દાવો કર્યો છે સરખેજ આશ્રમના મહામંડલેશ્વર ઋષિભારતી બાપુએ. વીલની કોપી સાથે બાપુએ દાવો કર્યો કે, 2010 અને 2021ના વીલમાં તેમના નામનો ઉલ્લેખ છે. જોકે વાંધા અરજીને પગલે કોર્ટ કેસ ચાલતો હોવાની સ્પષ્ટતા તેમણે કરી હતી.