EDII દ્વારા યોજાયો 21મો પદવીદાન સમારોહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તથા તેમણે પદવીદાન સમારોહને સંબોધન કર્યું હતું.
દેશમાં ઉદ્યોગ સાહસિકતાના શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII)એ શુક્રવારે તેના વિશાળ કેમ્પસમાં 21માં પદવીદાન સમારોહનું આયોજન કર્યું હતું. તેમાં કુલ 147 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ફેલો એનાયત કરાયા હતાં, જેમાં 139 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને મેનેજમેન્ટમાં 8 વિદ્યાર્થીઓને ફેલો સામેલ હતાં. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તથા તેમણે પદવીદાન સમારોહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલે ગ્રેજ્યુએટ થયેલાં વિદ્યાર્થીઓને સ્કોલોસ્ટિક મેડલ્સ પણ એનાયત કર્યાં હતાં. ઇડીઆઇઆઇના પ્રેસિડેન્ટ તથા આઇડીબીઆઇ બેંક લિમિટેડના એમડી અને સીઇઓ રાકેશ શર્માએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રસંગે ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું તેમજ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત વિવિધ ટાર્ગેટ ગ્રૂપ વચ્ચે ઉદ્યોગ સાહસિકતાને મજબૂત કરવા ઇડીઆઇઆઇએ હાથ ધરેલી કેટલીક પ્રવૃત્તિઓ હાઇલાઇટ કરી હતી.
ઉદ્યોગ સાહસિકતાને કારકિર્દીના એક સ્વાભાવિક વિકલ્પ તરીકે પ્રોત્સાહીત કરવાની જરૂર – આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલે પદવીદાન સમારોહમાં વક્તવ્યમાં કહ્યું હતું કે, “મને આનંદ છે કે એક સમાજ તરીકે આપણે ઉદ્યોગ સાહસિકતાને કારકિર્દીના બીજા વિકલ્પોના સમકક્ષ મૂકવા કેન્દ્રિત પ્રયાસો હાથ ધર્યાં છે. ઉદ્યોગ સાહસિકતાને કારકિર્દીના એક સ્વાભાવિક વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને તેને શિક્ષણનો એક હિસ્સો બનવો જોઇએ કે જ્યાં વિદ્યાર્થીઓ નાની ઉંમરેથી જ સફળતાના ગુણો અને મૂલ્યો ગ્રહણ કરે, જેના થકીતેઓ ઉદ્યોગસાહસિકતાને કારકિર્દીના સ્વભાવિક વિકલ્પ તરીકે પસંદ કરવા પ્રેરાય.”
ઇન્સ્ટિટ્યૂટના આધુનિક પ્રોગ્રામને હાઇલાઇટ કરતાં રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, “ઇડીઆઇઆઇનો અભ્યાસક્રમ અને શૈક્ષણિક પદ્ધતિઓ સમકાલીન છે તથા તેના 78 ટકા ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ બિઝનેસમાં હાંસલ કરેલી સફળતામા તે પ્રદર્શિત થાય છે. ઇડીઆઇઆઇમાં પ્રશિક્ષિત કેટલાંક ઉદ્યોગસાહસિકોએ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સ ઉપર એવોર્ડ મેળવ્યાં છે.”
ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ રાજ્યપાલ અને બીજા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતાં તથા નવા ઉદ્યોગ સાહસિકોને ક્રાઇસિસ મેનેજમેન્ટની સમજણ કેળવવા અને નવી ટેક્નોલોજી અપનાવવાની તૈયાર રાખતા સર્વગ્રાહકી આકસ્મિક યોજના તૈયાર રાખવાની સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની માન્યતા પ્રાપ્ત ઇડીઆઇઆઇના સેન્ટર ઓફ એક્સલન્સે દેશભરમાં વાર્ષિક 80,000થી 1,00,000 ઉદ્યોગ સાહસિકોને તાલીમ આપી છે તેમજ ઉદ્યોગસાહસિકતામાં વિશ્વના સૌથી મોટા અભ્યાસ – ‘ગ્લોબલ આંત્રપ્રિન્યોરશીપ મોનિટર’ના ઇન્ડિયા ચેપ્ટરનું નેતૃત્વ કર્યું છે.