અમદાવાદમાં નવા વર્ષે શહેરના મંદિરોમાં અન્નકૂટ યોજાયા હતા. જેમાં શાહીબાગમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે 500 ઉપર ભોગ ધરાવાય છે. જોકે આ વર્ષે કોરોનાને કારણે 251 ભોગ ધરાવાયા હતા. નવા વર્ષે ભગવાનને પ્રશ્ન કરવા આશીર્વાદ લેવા અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે.
તો બીજી તરફ અમદાવાદીઓએ નગરદેવી ભદ્રકાળીના દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો. નવા વર્ષની સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે નવું વર્ષ સૌના માટે આરોગ્યપ્રદ અને ફળદાયી નીવડે અને કોરોનાથી દુનિયાને મુક્તિ મળે.
દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…!નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની અંદર એક પ્રકારનો અનોખો ભાવ હોય છે. ચોરે અને ચૌટે,બાલક અને વૃધ્ધને આજે “જય શ્રીકૃષ્ણ”ના હાથ જોડી સંબોધન થાય છે અને નવા વર્ષના રામરામ કરાય છે. અને હાં,એ પણ ગઇ ગુજરી ભુલી જઇને જીંદગીની નવી શરૂઆત સમયે….!
આજનો દિવસ વિક્રમસંવતના પ્રારંભનો દિવસ છે. આપણે ત્યાં નવું વર્ષ આજના દિવસથી શરૂ થાય છે. એટલે નવા વર્ષના અભિનંદન-શુભેચ્છાઓની આજના દિવસે ખાસ આપ-લે કરાય છે. આમ તો બેસતું વરસ એટલે કારતક સુદ એકમ. દિવાળી પછીનો આ દિવસ છે. માળવાના રાજા વિક્રમે શકોનો પરાજય કરીને પોતાના નામનું સંવત સ્થાપ્યું તે સમયથી આ સંવતનો પ્રારંભ થયો. તેથી તેને વિક્રમ સંવત કે માલવ સંવત કહેવામાં આવે છે.