3 મહિનાથી તુનિષા સાથે રિલેશનશિપમાં હતો શીજાન, મોબાઈલમાંથી ખુલશે સિક્રેટ ગર્લફ્રેન્ડનું રહસ્ય
મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, શીજાને પૂછપરછ દરમિયાન તેના જીવનમાં અન્ય કોઈ છોકરી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. શીજાનના નિવેદનો પર પોલીસ વિશ્વાસ કરી શકતી નથી. આરોપી શીજાનના ફોનમાંથી ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે. જેના આધારે તે કેટલુ સાચુ બોલી રહ્યો છે તેની પુષ્ઠી થઈ જશે.
21 વર્ષીય ટીવી એક્ટ્રેસ તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા શીજાન ખાને પોલીસ કસ્ટડીમાં ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. શીજાન ખાને પોલીસને કહ્યું કે તુનિષા શર્મા સાથે તેને પ્રેમ સંબંધ હતો. પરંતુ તે લાંબો સમય ચાલ્યો નહીં. માત્ર ત્રણ મહિનામાં જ આ પ્રેમ સંબંધનો અંત આવ્યો. વસઈના પોલીસ અધિકારીએ સોમવારે માહિતી આપતા જણાવ્યું હતુ કે, તુનિષા અને શીજાન ખાને, બંને વચ્ચે ઉંમરના તફાવત અંગે પણ વાત કરી. પોલીસ અધિકારીએ કહ્યું કે હજુ સુધી એવું કંઈ સામે આવ્યું નથી કે શ્રદ્ધા વાકર હત્યા કેસને કારણે ખાન અને શર્માએ પ્રેમ સંબંધ તોડીને બન્નેએ છૂટા પડવાનુ નક્કી કર્યું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્લીમાં શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાના ટુકડે ટુકડા કરીને હત્યા કરી હતી. આ કેસમાં આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી.
એટલું જ નહીં,મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન શીજને તેના જીવનમાં અન્ય કોઈ છોકરી હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ સાથે સૂત્રોએ એ પણ જણાવ્યું કે શીજાન વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. અત્યાર સુધી બ્રેકઅપનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સેટ પર આત્મહત્યા વખતે હાજર રહેલા તમામ લોકોના નિવેદન નોંધવામાં આવશે. અત્યાર સુધીમાં આ કેસ સાથે જોડાયેલા અને સેટ પર હાજર રહેલા પૈકી 17 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોએ એમ પણ જણાવ્યું કે પોલીસ શીજાનની અન્ય ગર્લફ્રેન્ડ વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ શીજાનના નિવેદનો પર વિશ્વાસ કરી શકતી નથી. તુનિષાનો હાથ લાગેલો આઈફોન મોબાઈલ ફોન હજુ પણ બંધ છે. સાયબર નિષ્ણાતોની મદદથી ફોન ચાલુ કરવાથી ડેટા રિકવર થઈ જશે. જ્યારે આરોપી શીજાનના ફોનમાંથી ડેટા રિકવર કરવામાં આવી રહ્યો છે.
બન્ને વચ્ચે ઉમરનો મોટો તફાવત
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શીજાન ખાને પોલીસને જણાવ્યું હતું કે તેનો અને તુનિષા શર્માનો પ્રેમ સંબંધ હતો. જે લાબો ટકવાની અસમર્થતાને કારણે, માત્ર ત્રણ મહિનામાં જ સમાપ્ત થઈ ગયો હતો. શીજાન ખાને અમને જણાવ્યું કે બંને વચ્ચે ઉંમરનું અંતર હતું, કારણ કે શીજાન ખાન 27 વર્ષનો હતો, જ્યારે તુનીષા 21 વર્ષની હતી. શીજાને કહ્યું કે તેમની વચ્ચેનો પ્રેમ સંબંધ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ બંને વચ્ચે સારા સંબંધો જળવાઈ રહ્યાં હતા અને વાતચીત કરતા હતા. મુંબઈ પોલીસ, શીજાન ખાન દ્વારા કરવામાં આવેલા દાવાની ચકાસણી કરી રહી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ તુનિષા શર્મા અને શીજાન ખાનના વોટ્સએપ મેસેજ અને કોલ રેકોર્ડની ચકાસણી કરી રહી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું તુનિષા શર્મા ગર્ભવતી હતી, તો તપાસ ટીમના એક અધિકારીએ કહ્યું કે પ્રારંભિક વિસેરા પરીક્ષામાં ગર્ભાવસ્થાના કોઈ સંકેત મળ્યા નથી.
શીજાનના પરિવારે કહ્યું- ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ
અભિનેતા શીજાન ખાનને પાલઘર જિલ્લાની વસઈ કોર્ટે ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. અભિનેતા શીજાનના પરિવારજનોએ સોમવારે કહ્યું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા છે. શીજાન ખાનના પરિવારે એક નિવેદનમાં કહ્યું કે તેમને ન્યાયતંત્રમાં પૂરેપૂરો વિશ્વાસ છે. શીજાનખાનની બહેન શફાક નાઝ, ફલક નાઝ અને પરિવારના અન્ય સભ્યો દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમને ભારતીય ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને શીજાન મુંબઈ પોલીસને સહકાર આપી રહ્યો છે. જ્યારે યોગ્ય સમય હશે ત્યારે અમે તેના વિશે વાત કરીશું,
શીજાન ખાન પર તુનીષાની માતાએ લગાવ્યો આરોપ
શર્માની માતાએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે ખાને છેતરપિંડી કરી હતી અને તેની પુત્રીનો ઉપયોગ કર્યો હતો. તેઓએ ખાનને સજા કરવાની માંગણી કરી અને કહ્યું કે ખાનને શર્મા સાથે પ્રેમ સંબંધ હતો અને ખાને તેની પુત્રી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ખાનને અન્ય મહિલા સાથે પણ પ્રેમ સંબંધ હતો. શર્માએ ટીવી સીરિયલ ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’, ‘ફિતૂર’ અને ‘બાર બાર દેખો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તમને જણાવી દઈએ કે 24 ડિસેમ્બરે ટીવી સીરિયલ અલી બાબા: દાસ્તાન-એ-કાબુલના સેટ પર અભિનેત્રી તુનીષા શર્માનો મૃતદેહ મેક-અપ રૂમમાં લટકતો જોવા મળ્યો હતો. જે બાદ અભિનેત્રી તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ અભિનેતા શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.