Aryan Khan Case Deal : NCB એ જાહેર કરી પ્રેસનોટ, સમીર વાનખેડેએ પ્રભાકર સાઈલના દાવાને ફગાવ્યો, કહ્યું જે કહેવું હોય તે કોર્ટમાં કહો
પ્રેસનોટમાં એનસીબીએ પ્રભાકર સાઈલના (Prabhakar Sail) આરોપોને ફગાવી દીધા છે. એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) તરફથી એવું કહેવામાં આવ્યું છે કે પ્રભાકર સાઈલે જે કંઈ કહેવું હોય તે તેઓએ કોર્ટમાં કહેવું જોઈએ. સોશિયલ મીડિયા અથવા મીડિયા દ્વારા ના કહો.
મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai Cruise Drugs Case) શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનને (Aryan Khan) બચાવવા અને કેસને દબાવવા માટે 18 કરોડની ડીલના આરોપ પર NCB દ્વારા પ્રેસ નોટ જાહેેર કરવામાં આવી છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મુથા અશોક જૈન (Mutha Ashok Jain) દ્વારા જાહેર કરવામાં આવેલી આ પ્રેસનોટમાં એનસીબીએ પ્રભાકર સાઈલના (Prabhakar Sail) આરોપોને ફગાવી દીધા છે.
એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) તરફથી એવું કહેવામાં આવ્યું છે કે પ્રભાકર સાઈલે જે કંઈ કહેવું હોય તે તેઓએ કોર્ટમાં કહેવું જોઈએ. સોશિયલ મીડિયા અથવા મીડિયા દ્વારા ના કહો. પ્રભાકર સાઈલ કે.પી ગોસાવી (K.P.Gosavi) ના બોડીગાર્ડ છે.
પ્રભાકરે આરોપ લગાવ્યો છે કે આર્યન ખાન ડ્રગ કેસને દબાવવા માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની, ગોસાવી અને સેમ ડિસોઝા નામના વ્યક્તિ વચ્ચે ડીલ નક્કી કરવામાં આવી હતી. આ ડીલ હેઠળ ગોસાવીએ સેમને પૂજા સાથે 25 કરોડમાં વાત કરવા અને 18 કરોડ સુધીની ડીલ ફિક્સ કરવાનું કહ્યું હતું. તેમાંથી સમીર વાનખેડેને 8 કરોડ રૂપિયા આપવાની વાત હતી. બાકી રકમને પોતાની વચ્ચે વહેંચવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કે.પી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની ક્રૂઝ પર એનસીબીના દરોડા બાદ આર્યન ખાન સાથેની સેલ્ફી તસવીર વાયરલ થઈ હતી.
પ્રભાકરને જે કહેવું હોય તે કોર્ટમાં કહે, સોશિયલ મીડિયા પર નહીં: NCB
પ્રભાકર સાઇલ કોણ છે? આર્યન ખાન કેસમાં અચાનક શા માટે ચર્ચામાં આવ્યો?
પ્રભાકર સાઈલ એ વ્યક્તિ છે જેણે NCB ની મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝમાં ચાલતી ડ્રગ્સ પાર્ટીમાં 2 ઓક્ટોબરના દરોડા બાદ પકડાયેલા આર્યન ખાનને કેસમાંથી બચાવવામાં ખંડણીનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં NCB વતી પ્રભાકર સાઈલને સાક્ષી બનાવવામાં આવ્યો છે. સાક્ષીએ જ આવો આરોપ લગાવ્યા બાદ NCBની મુસીબત વધી ગઈ છે.
પ્રભાકર રાઘોજી સાઈલ (ઉંમર 40) મુંબઈના અંધેરી ઈસ્ટમાં રહે છે. તે કિરણ પી ગોસાવીનો બોડીગાર્ડ છે. 22 જુલાઈ 2021 થી તો ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરી રહ્યો છે. 30 જુલાઈ 2021 ના રોજ, તે ગોસાવીના થાણે સ્થિત હીરાનંદાની એસ્ટેટમાં ગોસાવીને મળવા ગયો હતો. ત્યારે ગોસાવીએ પ્રભાકરને કહ્યું કે તેનો એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો બિઝનેસ છે. ગોસાવીએ આ મુલાકાત પછી પ્રભાકર સાઈલને પોતાના બોડીગાર્ડ તરીકે રાખી લીધો હતો.
પ્રભાકર સાઈલનો આરોપ શું છે?
આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સાઈલે કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ એફિડેવિટમાં તેણે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પ્રભાકરે કહ્યું છે કે તેને કે.પી. ગોસાવી અને સેમ ડિસોઝા નામના વ્યક્તિ વચ્ચેની ફોનમાં થયેલી વાતચીત સાંભળી છે. તે વાતચીતમાં ગોસાવીએ સેમને કહ્યું કે, 25 કરોડનો બોમ્બ નાખો. 18 કરોડ સુધી ડીલને ફાઈનલ કરો. તેમાંથી 8 કરોડ રૂપિયા સમીર વાનખેડેને આપવાના છે.
ગોસાવીને 50 લાખ રૂપિયા ભરેલી બે થેલી આપવાનો દાવો
પ્રભાકરના કહેવા મુજબ, આ પછી ગોસાવીએ તેને બોલાવીને સાક્ષી બનવાનું કહ્યું. પ્રભાકર આગળ જણાવે છે કે આ પછી NCB એ 10 કોરા કાગળો પર તેમની સહી લીધી અને તેમના આધાર કાર્ડની વિગતો મેળવી. આ પછી પ્રભાકર એ પણ જણાવે છે કે તે ગોસાવીના કહેવા પર તાડદેવ વિસ્તારમાં ગયો હતો અને એક વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા ભરેલી બે થેલીઓ લઈને ગોસાવી સુધી પહોચાડી હતી.
પ્રભાકર એવો પણ દાવો કરે છે કે ક્રુઝ પર દરોડાની રાત્રે તે ગોસાવી સાથે હતો. તે એવો પણ દાવો કરે છે કે વાદળી મર્સિડીઝ કારમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની, ગોસાવી અને સેમ વચ્ચે 15 મિનિટ સુધી કેટલીક વાતચીત થઈ હતી. તે એમ પણ કહે છે કે ગોસાવી અને સેમ એનસીબી ઓફિસની બહાર મળ્યા હતા. આ પછી ગોસાવી નાટકીય રીતે ગાયબ થઈ ગયા. પ્રભાકર કહે છે કે સમીર વાનખેડેથી તેનો જીવ જોખમમાં છે.
આ પણ વાંચો : Aryan Khan Drug Case: NCBનો નવો આરોપ, આર્યન અને તેના મિત્રોએ ડાર્કનેટ દ્વારા ડ્રગ્સ માટે કર્યું હતું પેમેન્ટ