સફળતાના શિખરે પહોંચેલા એક્ટરની પર્સનલ લાઈફમાં હજુ પણ છે શૂન્યાવકાશ; કહ્યું- ‘હવે તો હું અંકલ જેવો લાગુ છું’ : આલમ ભાઈ
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં આલમ ભાઈના રોલથી લોકપ્રિય બનેલા ગૌરવ ગેરાએ તાજેતરમાં પોતાના અંગત જીવનના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સમયે ગંભીર પ્રેમમાં રહેલા ગૌરવ ગેરાએ કેમ હવે લગ્ન કરવાની ઈચ્છા છોડી દીધી છે, તે અંગે તેમણે હૃદયસ્પર્શી વાત કરી છે.

ટેલિવિઝન દુનિયાનો જાણીતો ચહેરો અને હવે ફિલ્મ ‘ધુરંધર’ દ્વારા દેશભરમાં લોકપ્રિય થયેલા ગૌરવ ગેરા અત્યારે પોતાની સફળતાનો આનંદ માણી રહ્યા છે. પરંતુ આ સફળતા પાછળ એકલતા અને ભૂતકાળના દર્દની એક એવી વાર્તા છુપાયેલી છે જે અત્યાર સુધી દુનિયાથી અજાણ હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ગૌરવ ગેરાએ પોતાના સંબંધો અને લગ્ન ન કરવા પાછળના કારણો વિશે દિલ ખોલીને વાત કરી છે.
પહેલા પ્રેમનું દર્દ હજુ પણ તાજું
ગૌરવ ગેરાએ જણાવ્યું કે, તેમની જિંદગીમાં એક એવો સમય હતો જ્યારે તેઓ કોઈના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ એ સંબંધ તૂટ્યા પછી જે પીડા થઈ, તેણે તેમને અંદરથી હચમચાવી દીધા. એક્ટરે કબૂલ્યું કે, “હું ક્યારેય ફરીથી એ પીડાદાયક સ્થિતિમાં જવા માંગતો નથી. હવે હું કોઈને એટલા મહત્વના નથી બનાવવા માંગતો કે જે મને દુઃખ પહોંચાડી શકે.” આ જ કારણ છે કે હવે તેમની લગ્ન કે નવા રિલેશનશિપમાં કોઈ રુચિ રહી નથી.
‘ધુરંધર’ પહેલા મળતું હતું ફીમેલ અટેન્શન
જ્યારે ગૌરવને પૂછવામાં આવ્યું કે શું ફિલ્મની સફળતા બાદ યુવતીઓ તરફથી અટેન્શન મળ્યું છે? તો તેમણે રમુજી અને નિખાલસ અંદાજમાં કહ્યું કે, “ધુરંધર પહેલા મને ઘણું ફીમેલ અટેન્શન મળતું હતું, પણ હવે તો હું અંકલ જેવો દેખાવા લાગ્યો છું.” ગૌરવનું માનવું છે કે પુરુષો કરતાં સ્ત્રીઓ બ્રેકઅપ બાદ જલ્દી મૂવ-ઓન કરી લેતી હોય છે, જ્યારે તેઓ પોતે હજુ પણ એ યાદોમાંથી બહાર નથી આવી શક્યા.
એક ફોન કોલે બદલી નાખ્યું નસીબ
ગૌરવ ગેરાએ ‘જસ્સી જૈસી કોઈ નહીં’ અને ‘પમ્મી પ્યારેલાલ’ જેવા શોથી ઘર-ઘરમાં ઓળખ બનાવી હતી, પણ એક સમય એવો આવ્યો જ્યારે કામ મળતું બંધ થઈ ગયું. તેઓ મુંબઈ છોડી ગુરુગ્રામ શિફ્ટ થઈ ગયા હતા. પરંતુ ત્યારે જ કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાના એક ફોન કોલે તેમની કિસ્મત બદલી નાખી અને તેમને ‘ધુરંધર’માં આલમ ભાઈનો યાદગાર રોલ મળ્યો. આજે ગૌરવ પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખુશ છે, પરંતુ પર્સનલ લાઈફમાં તેમણે પોતાની એકલતા સાથે સમાધાન કરી લીધું છે.
