Breaking News: જેકલીન હવે બરાબરની ફસાઈ ! 200 કરોડના કાંડમાં સરકારી સાક્ષી બનવાની અરજી પાછી ખેંચી
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. 200 કરોડ રૂપિયાના હાઈ-પ્રોફાઈલ મની લોન્ડરિંગ કેસમાં જેકલીને લીધેલા એક મોટા નિર્ણયે હવે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝે મંગળવારે 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સરકારી સાક્ષી બનવાની પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. આ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર પણ જોડાયેલ છે. જેકલીનના વકીલે પુષ્ટિ કરી છે કે, તેમણે સ્પેશિયલ જજ પ્રશાંત શર્મા સમક્ષ દાખલ કરેલી અરજી પરત ખેંચી લીધી છે. સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તેમની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આરોપીના ગુનાહિત ઇતિહાસ વિશે જાણ હોવા છતાં જેકલીન તેના સંપર્કમાં રહી હતી.
જેકલીન ફર્નાન્ડીઝની વધી મુશ્કેલીઓ
ફેડરલ એજન્સીએ એક્ટ્રેસની અરજીના જવાબમાં જણાવ્યું હતું કે, ‘અરજદાર (જેકલીન) સુકેશ ચંદ્રશેખર (આરોપી 1) ના ગુનાહિત ભૂતકાળની જાણકારી હોવા છતાં, તેની સાથે નિયમિત અને સતત સંપર્કમાં રહી હતી. સુકેશે મની લોન્ડરિંગના ગુનામાંથી થયેલી કમાણીમાંથી જેકલીન માટે તમામ લાભ, ભેટ અને વસ્તુઓ ખૂબ જ સાવધાનીપૂર્વક પૂરી પાડી હતી.’
એજન્સીએ વધુમાં ઉમેર્યું કે, વાતચીતના અનેક માધ્યમો દ્વારા સતત સંપર્ક અને મેળવેલા લાભ જેકલીનના એ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢે છે કે, તે એક અજાણ પીડિત હતી. તેનાથી વિપરીત, આ બાબત મુખ્ય અપરાધી સાથેના તેમના જાણી જોઈને રાખવામાં આવેલા સંબંધોને ઉજાગર કરે છે.
શું છે સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસ?
ચંદ્રશેખર પર આરોપ છે કે, તેણે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને ગૃહમંત્રી વતી કામ કરતા એક મોટા સરકારી અધિકારી તરીકે પોતાની ઓળખ આપી હતી અને સાતથી આઠ મહિના દરમિયાન બિઝનેસમેન અદિતિ સિંહ પાસેથી આશરે 200 કરોડ રૂપિયાની ઠગી કરી હતી. ખાસ વાત એ છે કે, આ મામલે જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ આવ્યું છે. તેના પર આરોપ છે કે, તેણે ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટ લીધી હતી, જે તે સમયે તેનો બોયફ્રેન્ડ હતો.
શરૂઆતમાં ડિસેમ્બર 2021 માં આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તે ફરિયાદમાં જેકલીન ફર્નાન્ડીઝનું નામ નહોતું. 17 ઓગસ્ટ, 2022 ના રોજ ED એ આ કેસમાં બીજી સપ્લીમેન્ટરી ફરિયાદ નોંધાવી હતી અને આ વખતે એક્ટ્રેસને પણ આરોપી બનાવવામાં આવી હતી.
