Salman Khan Birthday : શાહરૂખ સાથેની લડાઈ, ઐશ્વર્યા સાથે બ્રેકઅપ, આ વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે ભાઈજાન
સલમાન ખાન (Salman Khan) માત્ર રીલ લાઈફમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ મોટો સ્ટાર રહ્યો છે. તેમનું જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે. આવી ધણી ઘટનાઓ છે જે આજે પણ લોકોના મનમાં તાજી છે.
સલમાન ખાન બોલિવુડનો એવો ચમકતો સ્ટાર છે જે હંમેશા દરેકની ફેવરિટ લિસ્ટમાં ટોપ પર રહે છે. સાથે જ વિવાદો સાથે પણ તેમનો સંબંધ જૂનો રહ્યો છે. ભાઈજાન સલમાન ખાનના ગુસ્સાથી આખી ઈન્ડસ્ટ્રી વાકેફ છે. પછી ભલે તે કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન સાથેની લડાઈની વાત હોય કે પછી ઐશ્વર્યા સાથેના બ્રેકઅપની સ્ટોરી હોય. તો ચાલો વાત કરીએ તેમના જીવનના એવા વિવાદો વિશે
ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનની મિત્રતાની જેટલી જ ચર્ચા છે એટલી જ તેમની દુશ્મનીની પણ છે. એક સમય એવો હતો જ્યારે બંનેને એકબીજાનું મોઢું જોવું પણ પસંદ નહોતું. જો કે હવે બંને ફરી એક બીજા સાથે સારા બોન્ડ શેર કરી રહ્યા છે. પરંતુ, શું તમે જાણો છો કે તેમની લડાઈનું કારણ શું હતું?
શાહરૂખ-સલમાનની લડાઈનું આ જ કારણ હતું
શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેનો ઝઘડો પણ ઘણો જૂનો છે. વર્ષ 2008માં કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં શાહરૂખે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય વિશે કંઈક કહ્યું હતું. આ પછી બંને સ્ટાર્સ વચ્ચે તણાવ હતો. શાહરૂખે આ મુદ્દે શો ‘આપ કી અદાલત’માં ચર્ચા કરી છે. તેણે કહ્યું કે સલમાનના પરિવાર સાથે તેના હજુ પણ સારા સંબંધો છે. જોકે હવે સલમાન સાથે બહુ ઓછી વાત થાય છે.
સલમાન ખાન હિટ એન્ડ રન કેસ
28 સપ્ટેમ્બર, 2002ની રાત્રે, સલમાન ખાનની કાર હિલ રોડ પર અમેરિકન એક્સપ્રેસ બેકરીમાં ઘૂસી ગઈ હતી. સલમાને સવારે સરેન્ડર કર્યું હતું. પોલીસ સ્ટેશનમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી અને જામીન મળી ગયા હતા.આ ઘટનામાં નુરુલ્લા શરીફનું મોત થયું હતું. અબ્દુલ શેખ, મુસ્લિમ શેખ મુન્નુ ખાન, મહંમદ કલીમ ઘાયલ થયા હતા. આ બધા બેકરીની બહાર ફૂટપાથ પર સૂતા હતા.
ઐશ્વર્યાનું બ્રેકઅપ
ઐશ્વર્યા રાયની સુંદરતા પર દિલ ગુમાવી બેઠેલા સલમાન ખાનને પ્રેમ થઈ ગયો. બંનેના પ્રેમની ચર્ચા આજે પણ થાય છે. ઐશ્વર્યા અને સલમાન એકબીજાને ડેટ કરવા લાગ્યા. થોડા દિવસો પછી બંને વચ્ચે અણબનાવ થયો. ઐશ્વર્યાએ મીડિયા સામે પણ આ વિશે વાત કરી અને સલમાન પર તેની સાથે મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ દરમિયાન સમાચાર એવા પણ આવ્યા હતા કે, સલમાને ઐશ્વર્યાની ફિલ્મના સેટ પર હંગામો મચાવ્યો હતો. જેના કારણે તેણે ફિલ્મ પણ છોડવી પડી હતી.
વિવેક ઓબેરોય વચ્ચે આવ્યો
ઐશ્વર્યા રાયે વિવેક ઓબેરોય સાથે ફિલ્મ ક્યા હો ગયાના નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ દરમિયાન વિવેક અને ઐશ્વર્યા રાય વચ્ચે નિકટતા વધવા લાગી. જ્યારે સલમાનને આ વાતની જાણ થઈ તો તેણે ભારે હોબાળો મચાવ્યો. વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સલમાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વિવેકે જણાવ્યું કે ગઈકાલે રાત્રે 12.30 થી સવારે 5 વાગ્યા સુધી સલમાન ખાને વિવેકને 41 વાર ફોન કર્યો હતો. આ દરમિયાન સલમાન ખાને વિવેક સાથે દુર્વ્યવહાર કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ પછી, ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ ગરમ થઈ ગયું અને આ લવ ટ્રાયગલના સમાચાર વધવા લાગ્યા. આ પછી આજ સુધી સલમાન-ઐશ એકબીજાનો ચહેરો જોતા નથી.
કાળા હરણ કેસમાં પણ નામ આવ્યું હતું
જ્યારે સલમાન ખાન સૂરજ બડજાતિયાની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે વિશ્નોઈ સમાજે આરોપ લગાવ્યો હતો કે, સલમાને બે કાળા હરણ માર્યા છે. તમને જણાવી દઈએ કે, સમાજે કાળા હરણને પૂજનીય માને છે. આવી સ્થિતિમાં સમાજે સલમાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. 5 એપ્રિલ, 2018ના રોજ સીજેએમ દેવ કુમાર ખત્રીએ સલમાન ખાનને વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ 9/51 હેઠળ દોષિત ઠેરવ્યો હતો અને આ દરમિયાન તેને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.