પંજાબ એસેમ્બલી (Punjab Assembly Election Results 2022) ની 117 સીટો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવી રહ્યા છે. રાજકીય પક્ષોએ પણ સવારથી જ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા હરપાલ સિંહ ચીમા (Harpal Singh Cheema) ચર્ચામાં છે. જો પંજાબમાં AAPની સરકાર બને છે, તો ચીમાને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે. પરિણામો જાહેર થતાં પહેલાં તેમણે કહ્યું કે, AAP રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહી છે અને એક્ઝિટ પોલ પર શંકા કરવાનું કોઈ કારણ નથી.
આમ આદમી પાર્ટીના નેતા હરપાલ સિંહ ચીમા પંજાબ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે અને સિંગુર જિલ્લાના દિરબા વિધાનસભા (Dirba Assembly constituency) મતવિસ્તારના ધારાસભ્ય છે. ચીમા 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા AAPમાં જોડાયા હતા. ત્યારબાદ 2017ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે દિરબા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. તે પ્રખ્યાત પંજાબી કબડ્ડી ખેલાડી ગુલઝાર સિંહ મૂનક સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. મૂનક શિરોમણિ અકાલી દળની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
હરપાલ સિંહ ચીમાએ આ બેઠક પર મૂનક અને કોંગ્રેસના નેતા અજાયબ સિંહ રોટલાનને હરાવીને જીત મેળવી હતી. હવે તેઓ ફરી એકવાર એ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચીમા વ્યવસાયે વકીલ છે. ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા ચીમાએ પંજાબમાં આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકવા માટે વિરોધી પક્ષો પર હાથ મિલાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કેપ્ટન અમરિંદર સિંહ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે.
હરપાલ સિંહ ચીમાએ શાહ સાથે આ બંને નેતાઓની મુલાકાતને પંજાબ સાથે વિશ્વાસઘાત ગણાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, આવી બેઠકોનો એક જ એજન્ડા હોય છે, આમ આદમી પાર્ટીને સત્તામાં આવતા રોકવાનો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમણે કહ્યું, ‘એક્ઝિટ પોલના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે પંજાબમાં AAPની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ રાજકીય પક્ષોના નેતાઓ એકબીજાને મળી રહ્યા છે. તેમનો એક જ હેતુ છે, અને તે છે AAPને સત્તામાં આવતા રોકવાનો.
આ પણ વાંચો: Punjab Election 2022: પંજાબમાં 66 જગ્યાએ થશે મતગણતરી,આ છ દિગ્ગજ નેતાઓના ભાવિનો થશે ફેંસલો