PM મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેન્ટ્ર્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી. જ્યારે વડાપ્રધાન મોદીએ અહીં સન્માનપૂર્વક સંવિધાન સમક્ષ માથુ ઝુકાવ્યું તો તમામ સાથી સાંસદો તેમની સામે ભાવપૂર્વક જોઈ રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાન સમક્ષ ન માત્ર ઝૂક્યા પરંતુ તેને ઉપાડીને પોતાના કપાળ પર લગાવ્યું. જે બાદ હોલમાં હાજર તમામ NDA સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું.
આ પહેલા 20 જૂન 2014ના રોજ વડાપ્રધાન મોદીએ, સાંસદ બન્યા બાદ સૌપ્રથમવાર સંસદમાં પ્રવેશતા પહેલા સંસદના પગથિયાં પર માથું ટેકવીને પ્રણામ કર્યા હતા. તે સમયે પણ તેના ખૂબ વખાણ થયા હતા. હવે તેમણે બંધારણને કપાળે લગાવ્યું છે. વડાપ્રધાન મોદીએ હંમેશા સંસદ અને બંધારણને મહત્વ આપ્યું છે. જો કે વિપક્ષી દળોએ તેમના પર ઘણી વખત બંધારણ બદલવી નાખશેનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમણે દરેક વખતે સંવિધાનની રક્ષા કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો. ફરી એકવાર તેમણે સંસદમાં બંધારણની નકલ સામે ઝૂકીને લોકશાહીમાં ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી છે.
આ પછી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જનાદેશ આપણા દેશની લોકશાહીની તાકાત છે. તેમણે કહ્યું કે દેશની જનતાએ જે રીતે NDAમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે પ્રશંસનીય છે. પીએમ મોદીએ કહ્યું કે આજે એનડીએને દેશના 22 રાજ્યોમાં સરકાર બનાવવાની તક મળી છે, આ દર્શાવે છે કે આપણું ગઠબંધન ખરેખર ભારતની આત્મા છે.
તેમણે કહ્યું કે NDA એ માત્ર સત્તા મેળવવા અથવા સરકાર ચલાવવા માટે પાર્ટીઓનો મેળાવડો નથી – નેશન ફર્સ્ટ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકારે આ પહેલા પણ દેશને સુશાસન આપ્યું છે. NDA સુશાસનનો પર્યાય બની ગયો છે. અમારી સરકારનું ફોકસ પહેલા પણ ગરીબ કલ્યાણ હતું, ભવિષ્યમાં પણ એવું જ રહેશે. તેમણે કહ્યું કે સામાન્ય જીવનમાં સરકારની દખલગીરી જેટલી ઓછી હશે, લોકશાહી એટલી જ મજબૂત હશે.
પીએમ મોદીએ ફરી એકવાર દેશવાસીઓને આશ્વાસન આપ્યું કે અમે વિકાસ અને સુશાસનનો નવો અધ્યાય લખીશું. અમે સરકારમાં લોકોની ભાગીદારી વધારીશું અને સાથે મળીને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીશું.