કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસમાં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Elections) ભાજપને ભવ્ય વિજય મળે તે માટે કાર્યકરોમાં જોમ પૂર્યુ છે. અમિત શાહે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સહિત મંત્રીઓ સાથે બેઠક યોજી હતા. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવી. ચૂંટણી પહેલાની અમિત શાહની આ બેઠકમાં ખૂબ જ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોય તેવુ માનવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ એક્શનમાં આવી ગયા છે. અમિત શાહ ગાંધીનગરમાં કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતુ. કમલમ ખાતે અમિત શાહની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવાની રણનીતિ ચર્ચાઈ હતી. બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સામેલ થયા. સાથે જ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની પણ વિશેષ હાજરી રહી. 2022ની ચૂંટણી પહેલા અમિત શાહની મેરેથોન બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે શાહના કાર્યક્રમમાં કમલમની બેઠકનો કોઇ ઉલ્લેખ નહોતો. જોકે અંતિમ ઘડીએ કાર્યક્રમની જાહેરાતથી અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ પહેલા 28 ઓગસ્ટે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કમલમમાં બેઠક કરી હતી.
ગુજરાત પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પ્રજાજનોને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કમલમમાં મહત્વની બેઠક યોજી. અમિત શાહે નેતાઓ અને કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આ પહેલા અમિત શાહે ગાંધીનગરના કલોલમાં KRIC કોલેજ દ્વારા નિર્માણાધીન 750 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. જે બાદ અમિત શાહ રૂપાલ સ્થિત વરદાયિની માતાજીના મંદિરે પહોંચ્યા. અહીં અમિત શાહના હસ્તે મંદિરના નવનિર્મિત સુવર્ણજડિત ગર્ભગૃહના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા. અમિત શાહે મા વરદાયિનીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા. જે બાદ અમિત શાહે ગ-4 રોડ પર સેક્ટર 15 પાસે અંડરપાસનું લોકાર્પણ કર્યું.