ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TV9 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત, ડિમોલિશન કાર્યવાહીથી લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સહિતના અનેક મુદ્દે રાખી બેબાક રાય
Gujarat Election 2022 ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ TV9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી જેમા ચૂંટણીઓ આવતા જ હિંદુ મુસ્લિમનો મુદ્દો કેમ હાવી થઈ જાય છે. ડિમોલિશન કાર્યવાહીને લઈને ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવતા આક્ષેપ સહિતના અનેક મુદ્દા પર તેમણે બેબાકીથી જવાબો આપ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે અંતિમ ચરણમાં છે. 5મી ડિસેમ્બરે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાવાનું છે, ત્યારે આ પહેલા અમારા સંવાદદાતાએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં અનેક હોટ ટોપિક પર પણ તેમણે બેબાકીથી, શબ્દો ચોર્યા વિના જવાબ આપ્યા હતા અને વિપક્ષી પાર્ટીના આક્ષેપોને ફગાવ્યા હતા. વાંચો આ વાચતીતના ખાસ અંશ
સવાલ- ચૂંટણીમાંસત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ હોય, ક્યાંય પણ નિયમોનો ભંગ થાય તેનુ ધ્યાન કઈ રીતે રાખશો?
હર્ષ સંઘવી:
ગુજરાતની ધરતીને આપણે સહુએ નમન કરવુ પડે. આપણા ગુજરાતમાં અનેક ચૂંટણીઓ આવે અને અનેક ચૂંટણીઓ પૂર્ણ થઈ. આપણે બીજા રાજ્યોની ચૂંટણી જોઈએ છીએ, પરંતુ આ રાજ્યની ધરતી, આ રાજ્યના લોકોને અહીંની કાનુની વ્યવસ્થા. આ ત્રણેયનો એ પ્રકારનો સંગમ છે કે ચૂંટણીમાં તમામ પાર્ટીના લોકો ખુલ્લેઆમ કોઈ સિક્યોરિટી વિના, કોઈ સુરક્ષા વિના ગલીએ ગલીએ જઈને પ્રચાર કરે છે. કોઈપણ પ્રકારની વાતો કરે. પરંતુ ક્યારેય અહીં કાનુન વ્યવસ્તા પર તકલીફ પડી એ પ્રકારની ઘટના સામે નથી આવી. તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ચુકી છે. રાજયની શાંતિપ્રિય જનતાને પોતાની સરકાર, પોતાના ગમતા ઉમેદવારો ચૂંટાઈ શકે તે માટે એમને એમનો હક્ક, સંપૂર્ણપણે મતપેટી સુધી પહોંચી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.
સવાલ- ભાજપ પર એક આક્ષેપ સતત લાગી રહ્યો છે કે ભાજપ પાંચ વર્ષ વિકાસની વાત કરતી હોય છે અને જ્યારે ચૂંટણીઓ આવે એટલે મુદ્દો હિંદુ-મુસ્લિમ આવીને અટકી જાય છે.આવુ કેમ? કોંગ્રેસ પણ આજ વાત કરે છે, AAP પણ આજ વાત કરે છે. તૃષ્ટિકરણની રાજનીતિની વર્સિસ ભાજપનું જે હિંદુ મુસલમાન કાર્ડ દર ચૂંટણીમાં કેમ આવી જાય છે?
હર્ષ સંઘવી:
હર્ષ સંઘવી: દિલ્હીની અંદર મદરેસાના મૌલવીઓને પગાર આપવામાં આવે અને મંદિરના પૂજારીઓને એક રૂપિયો ન આપવામાં આવે તો આને કઈ રાજનીતિ ગણવામાં આવશે? દિલ્હીમાં આ પ્રકારની અનેક ઘટનાઓ છે. કાલે જ મે એક પત્ર જોયો, હમણા ગુજરાતમાં આટલા દિવસ સુધી અલગ અલગ ગરીબોની વાત કરી પરંતુ ચૂંટણી નજીક આવતા માત્ર એક જ સમુદાયને ક્યા પ્રકારે લાભ આપવા માટેની લાલચ આ ફ્રોડ કંપની દ્વારા આપવામાં આવી, એ આપણે સહુએ કાલે જોયુ છે. હજારો પત્રિકાઓ આ પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં લોકોએ વહેંચી છે, આ પત્રિકાઓ શું ઈશારો કરે છે? અમે એવી રાજનીતિ નથી કરતા.
સવાલ- કોંગ્રેસ સીધો આક્ષેપ કરે છે કે PFIનો મામલો હોય કે પછી બુલડોઝર ફેરવવાની વાત હોય ભાજપ અને ખાસ કરીને હર્ષ સંઘવી એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરી રહ્યા છે. આના પર શું કહેશો?
હર્ષ સંઘવી:
જેમણે ગેરકાયદે કામ કર્યા હોય એમની ઉપર બુલડોઝર ફેરવ્યુ છે. જેમણે ગેરકાયદે બાંધકામ કર્યુ હોય એમની ઉપર બુલડોઝર ફેરવ્યુ છે. કોંગ્રેસ શું કરવા માગે છે ? કોંગ્રેસ હંમેશા ચોક્કસ સમાજની વાત કરે છે. પરંતુ હું આજે કોંગ્રેસને પૂછવા માગુ છુ કે શું આ ચોક્કસ સમાજને તમે આખો દેશ આપી દીધો છે? આ રાજ્યની રાજ્ય સરકારની જે જમીનો છે ત્યાં રાજ્યના નાગરિકો માટે જે રોડ બનાવેલો છે. એ રોડ પર મનફાવે ત્યારે પોતાનુ ઘર, મનફાવે ત્યારે ધાર્મિક સ્થળ ઉભુ કરી લેવા માટે તમને છૂટ આપી દીધી છે? રાજ્યના તમામ નાગરિકોનો હક્ક છે તેના ઉપર? તમે શેના માટે દરેક વખતે ચોક્કસ સમાજ ચોક્સ સમાજની માળા લઈને બેસી જાઓ છો? ચૂંટણી આવે એટલે દરેક વખતે આ પ્રકારે લોકોને લલચાવવા. દરેક વખતે બધા જ લોકોને ભરમાવવાનું કામ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરી રહી છે.
સવાલ- તમે એવુ માનો છો કે ગુજરાતમાં એક પાર્ટીક્યુલર સમાજ કે એક પાર્ટીક્યુલર કોમ્યુનિટી દ્વારા જ અમુક પ્રકારના ગુના થાય છે?
હર્ષ સંઘવી:
ના, તકલીફ એ છે કે જ્યારે બીજા બધા સમાજના લોકોને અન્યાય થાય, ત્યારે આ લોકો કંઈ બોલતા નથી. આ પ્રકારનું ગેરકાયદે ડિમોલિશન બધા જ વ્યક્તિનું થતુ હોય છે પરંતુ તકલિફ એક જ છે કે પાર્ટીક્યુલર સમાજ સિવાયના વ્યક્તિનું તૂટે તો ભલે તમે બધુ તોડી લો. એનાથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કંઈ લેવાદેવા જ નથી.