Gujarat Elections 2022 : AAPએ જાહેર કરી 20 સ્ટાર પ્રચારકોની યાદી, પંજાબના બે મહિલા મંત્રી પણ સામેલ
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદનો ચહેરો ઇસુદાન ગઢવી અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉપરાંત અલ્પેશ કથીરિયા, યુવરાજ જાડેજા, મનોજ સોરઠીયા, જગમાલ વાલા, રાજુ સોલંકી, પ્રવીણ રામ સહીતના નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ તેના સ્ટાર પ્રચારક જાહેર કર્યા છે. 20 સ્ટાર પ્રચારકોની યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલનું નામ ટોચ પર છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનને પણ ટોચના પ્રચારકોમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદો સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા હરભજન સિંહને પણ મુખ્ય પ્રચારક બનાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારક જાહેર કરાયેલા પૈકી કેટલાક નેતાઓ ગુજરાતમાં પહેલેથી જ પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે.
પાર્ટીના પદાધિકારીના જણાવ્યા અનુસાર પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઇસુદાન ગઢવી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં મૂકવામાં આવ્યા છે. એ જ રીતે પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગનને પણ ગુજરાત ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. આ સાથે જ અલ્પેશ કથીરિયા, યુવરાજ જાડેજા, મનોજ સોરઠીયા, જગમાલ વાલા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, ગૌરી દેસાઈ, માથુર બલદાણીયા, અજીત લોખીલ, રાકેશ હિરપરાના નામ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
સામાજિક લેખાજોખા પર આધાર
આમ આદમી પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામાજિક લેખાજોખાનો પણ ઉપયોગ કર્યો છે. આમાં પાર્ટીએ પહેલાથી જ નક્કી કરી લીધું છે કે કયો નેતા કયા વર્ગને આકર્ષવા માટે વધુ સારું રહેશે. તેથી જ પંજાબની મહિલા મંત્રીઓને સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો ક્રિકેટર હરભજન સિંહને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે. એ જ રીતે મનીષ સિસોદિયાને શિક્ષણથી વંચિત વિસ્તારોના લોકો સિવાય મધ્યમ વર્ગને આકર્ષિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
પૂરી તાકાતથી ચૂંટણીમાં વ્યસ્ત
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સંગઠનની સ્થાપનામાં વ્યસ્ત છે. પાર્ટીએ આવા સમયે રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર સારી કેડર તૈયાર કરી છે અને તે પૂરા જોશ સાથે ચૂંટણી લડી રહી છે. પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, રાઘવ ચઢ્ઢા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતે લાંબા સમયથી ગુજરાતમાં ધામા નાખ્યા છે. પાર્ટીએ ખાસ કરીને ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં પકડ જમાવવાનો પ્રયાસ કર્યો છે.