ના હોય….. ! ‘હું મરીશ તો પણ કોંગ્રેસનું કફન ઓઢીશ’, ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે સુખરામ રાઠવાનો ખુલાસો
મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી તો બીજી તરફ સુખરામ રાઠવા પણ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઈ હતી. જેના ખુલાસો કરતા વધુમાં સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસી છું અને મરીશ તો પણ કોંગ્રેસનું કફન ઓઢીશ.

મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાવા મુદ્દે વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાએ ખુલાસો કર્યો છે. સુખરામ રાઠવાએ મોહનસિંહ રાઠવા અંગે કહ્યું કે, તેઓ કોંગ્રેસ છોડી ગયા તેનું દુ:ખ છે. મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી તો બીજી તરફ સુખરામ રાઠવા પણ ભાજપમાં જોડાય તેવી વાતો વહેતી થઈ હતી. જેના ખુલાસો કરતા વધુમાં સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસી છું અને મરીશ તો પણ કોંગ્રેસનું કફન ઓઢીશ. તો બીજી તરફ મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાય ત્યારબાદ સુખરામ રાઠવાએ નવું કોંગ્રેસ કાર્યાલય શરૂ કર્યું.
ચૂંટણી પહેલા કોંગ્રેસી નેતાઓ ભાજપની નજીક
ચૂંટણી જેમ-જેમ નજીક આવે છે, તેમ- તેમ કોંગ્રેસી નેતાઓ પણ ભાજપની નજીક જઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધુ છે. ઝાલોદ કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધુ છે. ભાવેશ કટારાએ અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યના નિવાસસ્થાને પહોંચી તેમને રાજીનામું સોંપ્યું છે. આજે ભાવેશ કટારા, બાબુભાઈ કટારા સાથે ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ દ્વારા ઝાલોદ બેઠક પર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ડૉ. મિતેશ ગરાસીયાના નામની જાહેરાત થતાંની સાથે જ અસંતોષનો ચરુ ઉકળ્યો છે.
આ પહેલા તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગ્રેસનો હાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપના પ્રવક્તા પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. ભગા બારડની સાથે તેમના બે પુત્રો પણ ભાજપમાં જોડાયા હતા. આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવતા નેતા મોહન રાઠવા પણ ભાજપમાં સામેલ થયા હતા.