AC ચાલુ કરતા જ થયો જોરદાર ધડાકો, જાણો એસીમાં બ્લાસ્ટ કેમ થાય છે અને કેવી રીતે રહેવું સુરક્ષિત?
ACમાં બ્લાસ્ટ થતા એક મહિલાનું મોત નીપજ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં જ વધતા જતા આવા બનાવોથી બચવા માટે એસીના કોમ્પ્રેસર બ્લાસ્ટના કારણો અને સુરક્ષાના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે.

ગ્વાલિયરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એસી ચાલુ કરતાની સાથે જ તેના કોમ્પ્રેસરમાં મોટો ધડાકો થયો હતો. આ બ્લાસ્ટને કારણે ઘરમાં રાખેલો ગેસ સિલિન્ડર લીક થયો અને જોતજોતામાં ત્રણ માળનું મકાન આગની લપેટમાં આવી ગયું. આ દુર્ઘટનામાં અંકિતા અગ્રવાલ નામની મહિલાનું ધુમાડાના કારણે ગૂંગળામણથી મોત નીપજ્યું હતું.
જ્યારે આ ઘટના બની ત્યારે પરિવારના અન્ય સભ્યો અને બાળકો ફસાયા હતા, જેમને SDRF ની ટીમે બચાવી લીધા હતા. ફાયર બ્રિગેડ, BSF અને આર્મીની ટીમોએ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના એસીના સુરક્ષિત ઉપયોગ પ્રત્યે લાલબત્તી સમાન છે.
AC માં બ્લાસ્ટ થવાના મુખ્ય કારણો:
નિષ્ણાતોના મતે, કોમ્પ્રેસરની અંદર જ્યારે દબાણ (Pressure) મર્યાદા કરતા વધી જાય ત્યારે બ્લાસ્ટ થાય છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
- ઓવરહીટિંગ: સતત એસી ચલાવવાથી અથવા ગંદા ફિલ્ટર અને કોઈલને કારણે કોમ્પ્રેસર વધુ પડતું ગરમ થઈ જાય છે.
- જાળવણીનો અભાવ: વર્ષમાં બે વાર સર્વિસ ન કરાવવાથી ધૂળ જમા થાય છે, જેનાથી એર ફ્લો બ્લોક થાય છે અને કોમ્પ્રેસર પર લોડ વધે છે.
- વાયરિંગ અને વોલ્ટેજ: જૂનું વાયરિંગ, વોલ્ટેજમાં વધ-ઘટ અથવા ખોટું ઇન્સ્ટોલેશન શોર્ટ સર્કિટ કરી શકે છે.
- ગેસ લીકેજ: એસીમાં વપરાતા R32 અથવા R290 જેવા ગેસ જ્વલનશીલ હોય છે. લીક થવા પર નાનકડો સ્પાર્ક પણ મોટી આગ લગાડી શકે છે.
એસી વાપરતી વખતે આટલી સાવધાની રાખો:
- નિયમિત સર્વિસ: દર 6 મહિને પ્રોફેશનલ ટેકનિશિયન પાસે સર્વિસ કરાવો. કોઈલ અને ફિલ્ટર હંમેશા સાફ રાખો.
- વોલ્ટેજ સ્ટેબિલાઇઝર: વોલ્ટેજની વધ-ઘટથી બચવા માટે હાઈ-ક્વોલિટી સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો.
- સતત વપરાશ ટાળો: એસીને લાંબા સમય સુધી ચલાવવાને બદલે થોડો વિરામ આપો. તાપમાન 24-26 ડિગ્રી પર સેટ રાખવું હિતાવહ છે.
- ગેસ સિલિન્ડરથી દૂર રાખો: એસી યુનિટની આસપાસ ક્યારેય ગેસ સિલિન્ડર કે જ્વલનશીલ વસ્તુઓ ન રાખો.
- ચેતવણીના સંકેતો: જો એસીમાંથી અજીબ અવાજ આવે, ઓછી કુલિંગ થાય કે બળવાની ગંધ આવે તો તરત જ તેને બંધ કરીને ટેકનિશિયનને બોલાવો.
