Gujarat Election 2022: અમિત શાહે શંકર ચૌધરીને મત આપવા કરી અપીલ, કહ્યુ ‘તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો, અમે મોટા માણસ બનાવીશું’
થરાદમાં અમિત શાહે સભાને સંબોધી અને શંકર ચૌધરીને મત આપી વિજયી બનાવવા માટે અપીલ કરી. લોકોને અપીલ કરતા અમિત શાહે કહ્યું કે શંકર ચૌધરીને જીતાડવા હું અહીં આવ્યો છું. તમે શંકર ચૌધરીને (Shankar Chaudhary) ધારાસભ્ય બનાવો, ભાજપ પાર્ટી શંકર ચૌધરીને મોટા માણસ બનાવવાનું કામ કરશે.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખંભાત બાદ બનાસકાંઠાના થરાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો. થરાદમાં અમિત શાહે સભાને સંબોધી અને શંકર ચૌધરીને મત આપી વિજયી બનાવવા માટે અપીલ કરી. લોકોને અપીલ કરતા અમિત શાહે કહ્યું કે શંકર ચૌધરીને જીતાડવા હું અહીં આવ્યો છું. તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો, ભાજપ પાર્ટી શંકર ચૌધરીને મોટા માણસ બનાવવાનું કામ કરશે. સાથે જ થરાદ અને વાવ બંને બેઠક પર ભાજપનું કમળ ખીલવવા પણ લોકોને અપીલ કરી.
અમિત શાહની જનતાને અપીલ-શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો, એમને મોટુ સ્થાન અમે અપાવીશું.
અમિત શાહે કહ્યુ કે, બનાસકાંઠાને કોંગ્રેસે દાણચોરીનું હબ બનાવી દીધુ હતુ. જો કે ભાજપ આવતા સ્થિતિ બદલાઇ છે. અમિત શાહે જનતાને અપીલ કરી કે શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો. એમને મોટુ સ્થાન અમે અપાવીશું. આ વાત સાથે જ અમિત શાહે ઇશારામાં એમ પણ કહી દીધુ કે, શંકર ચૌધરીને સરકારમાં સ્થાન આપવામાં આવશે.
અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
તો બીજી વિકાસ અને સુરક્ષાને લઇ અમિત શાહે કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યાં. કહ્યુ, વિકાસ અને કોંગ્રેસને બનતુ જ નથી. શાહે કહ્યું કે ગુજરાતનો વિરોધ કરવાવાળા ગુજરાતીઓના મત માગવા આવ્યાં છે.મત આપતા પહેલા કોંગ્રેસીયાઓને ઓળખી લેજો. કારણ કે વિકાસ અને કોંગ્રેસ બંનેને બનતું જ નથી. સુરક્ષા અને કોંગ્રેસ એકબીજાના વિરોધી છે.
નડાબેટને PMએ વિકસાવ્યુ: અમિત શાહ
બનાસકાંઠાના સરહદી વિસ્તારે કોંગ્રેસ અને ભાજપ એમ બંને પાર્ટીઓને જોઇ છે. હું પણ બનાસકાંઠામાં 80થી 90ના દાયકામાં ખખડધજ સ્કૂટર લઇને ફર્યો છું. તે સમયે અહીં રસ્તા ખૂબ જ ખરાબ હતા.આજે રોડ ઉપર સળસળાટ ગાડી જાય છે. અહીંથી અમદાવાદ સુધીનો અને પાલનપુર સુધીનો રસ્તો સળસળાટ બની ગયો છે. અમિત શાહે કહ્યુ કે, હું તો હમણા નડાબેડ જઇને આવ્યો. તે સ્થળને જોઇને હું તો આશ્ચર્ય ચકિત થઇ ગયો. નડેશ્વરી માતાના દર્શન તો મે પહેલા પણ કર્યા હતા. પણ વડાપ્રધાન મોદીએ સરહદ પર જે વ્યવસ્થા કરી છે. તેનાથી નડાબેટ પર ટુરિઝમ વધવાનું છે. રોજગારી પણ વધશે.
આજે બનાસકાંઠાનો દીકરો અહીં જ ભણીને ડોક્ટર બની શકે છે: અમિત શાહ
બનાસકાંઠામાં 80થી 90ના દાયકામાં આઇસક્રીમની દુકાન પણ જોવા પણ નહોંતી મળતી. આજે દવાની દુકાનો પણ થઇ ગઇ અને વીજળી પણ આવી ગઇ. છોકરા મોડી રાત સુધી ભણી મેડિકલ અને એન્જીનિયરિંગમાં દાખલો પણ મેળવી રહ્યા છે.હવે તો દાખલો મેળવવા દુર પણ નહીં જવાનું. બનાસ ડેરીએ અહીંયા જ કોલેજ બનાવી દીધી છે. બનાસકાંઠાનો છોકરો દાખલ થાય અને સારા માર્ક્સ લાવે તો ડોક્ટર પણ અહીં જ બની જાય.
અંબાજીમાં 52 શક્તિપીઠ બનાવ્યા: અમિત શાહ
કોંગ્રેસના સમયમા અંબાજી મંદિરની હાલત કેવી રાખી હતી. પણ આજે અંબાજી મંદિર પર સોનાનો જગમગાટ જોવા જેવો છે. 52 શક્તિપીઠ અહીં બનાવી દેવામાં આવ્યા છે. દેશભરના યાત્રીકો જ્યારે પદયાત્રા કરીને આવે ત્યારે ઠેર ઠેર વિસામા બનાવી ભાજપે યાત્રિકોના ભોજનની વ્યવસ્થા પણ કરી દીધી છે.