Gujarat Election 2022: ખંભાતની જનસભામાં કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ, કહ્યું- કોંગ્રેસે રામ મંદિરના નિર્માણમાં રોડા નાખ્યા
અમિત શાહે (Amit Shah) આણંદના ખંભાતમાં સભાને સંબોધી ફરી એક વખત વિકાસ, રામ મંદિર અને કલમ 370 મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષ સુધી કલમ 370 દૂર ન કરી અને રામ મંદિરના નિર્માણમાં પણ વર્ષો સુધી રોડા નાંખ્યા.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022: ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ગૃહપ્રધાન અમિત શાહે ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે અમિત શાહે આણંદના ખંભાતમાં સભાને સંબોધી ફરી એક વખત વિકાસ, રામ મંદિર અને કલમ 370 મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષ સુધી કલમ 370 દૂર ન કરી અને રામ મંદિરના નિર્માણમાં પણ વર્ષો સુધી રોડા નાંખ્યા. કેમ કે તેમને વોટ બેંકની બીક હતી. પરંતુ અમને કોઈ વોટ બેંકનો ડર નથી. અમે કોઈ વોટ બેંકથી નથી ડરતા. ભાજપ માટે રાષ્ટ્રની સુરક્ષા અને એકતા સર્વોપરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઉભા કરાયેલા દબાણો ભૂપેન્દ્ર પટેલ સરકારે દૂર કર્યા તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. પરંતુ તમે ચિંતા ન કરતા. ભાજપ આ સાફસફાઈ ચાલુ જ રાખશે. ખંભાતવાળાઓએ કોઈથી ડરવાની જરૂર નથી.
ખંભાતમાં ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
ખંભાતમાં સંબોધન કરતા અમિત શાહે કહ્યું કે ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. તમારા આશીર્વાદના કારણે ભાજપે ગુજરાતમાં પરિવર્તનનું કામ કર્યું. આ સાથે કોંગ્રેસ પર નિશાન સાધતા ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, ચૂંટણીઓ આવતા કોંગ્રેસિયા નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે. જે પક્ષ વર્ષોથી સત્તામાં નથી તો કામ ક્યાં કર્યા? તો વધુમાં કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરકારે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. સરદાર પટેલના સ્વપ્નને વડાપ્રધાન મોદીએ પૂર્ણ કર્યું. કોંગ્રેસ નેતાઓ સરદાર પટેલના સ્ટેચ્યુ પર જાય તો ટિકિટ કપાઈ જાય. કોંગ્રેસ સરકાર 370 કલમ નહોતા હટાવતા કારણ કે વોટબેંકની ચિંતા હતી. પણ ભાજપને વોટબેંકની ચિંતા નથી.
ભાજપને વોટબેંકનો ડર નથી – અમિત શાહ
આ ઉપરાંત પોતાના સંબોધનમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, રામમંદિર બનાવવામાં પણ કોંગ્રેસને વોટબેંકનો ડર હતો. 1 જાન્યુઆરી 2024માં ભવ્યા રામમંદિર જોવા મળશે. કારણ કે ભાજપને વોટબેંકનો ડર નથી. તો વધુમાં ઉમેર્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાં સંદેશો આપ્યો. ટ્રિપલ કલાક હટાવાયુ તો પણ કોંગ્રેસના પેટમાં તેલ રેડાયુ હતુ.
ભાજપ સરકાર સારા કામ કરે તે કોંગ્રેસને નથી ગમતુ – અમિત શાહ
બેટ દ્વારકામાં ગેરકાયદે દબાણોને સાફ કરી દેવાયા, ત્યારે પણ કોંગ્રેસી નેતાઓ વિરોધ કરી રહ્યા હતા. ભાજપ સરકાર સારા કામ કરે તે કોંગ્રેસને નથી ગમતુ. ગુજરાતમાં પહેલા રોજબરોજ રમખાણો થતા હતા. ખંભાતમાં પણ અનેકવાર રમખાણો થયા પણ પગલા લેવાયા નહોતા. પરંતુ હવે ખંભાતે કોઈનાથી ડરવાની જરૂર નથી.
આજે ભારતનો સમગ્ર વિશ્વમાં વટ છે – અમિત શાહ
તો કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસની ચાર પેઢી શાસનમાં રહી પરંતુ ગરીબી ન હટાવી શક્યા. કોરોનાની રસીમાં પણ કોંગ્રેસ રાજકારણ કરતુ હતુ. કોંગ્રેસે ગરીબોનું લોહી પીવામાં બાકી નથી રહ્યું. આજે ભારતનો સમગ્ર વિશ્વમાં વટ છે. ભારતનું અર્થતંત્રને 8 મા નંબરેથી 5 મા નંબરે પહોંચાડ્યુ છે.