ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: રાજકોટ દક્ષિણ બેઠકથી ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળાએ શરૂ કર્યો ઝંઝાવાતી પ્રચાર
Gujarat Election 2022: ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને રાજકોટ દક્ષિણ બેઠકથી ભાજપના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળાએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે. ભાજપે ટિકિટ આપ્યા બાદ તેઓ તેમના મતવિસ્તારમાં પદયાત્રા કરી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. હવે દરેક ઉમેદવારોએ પોતપોતાના મતવિસ્તારમાં પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. જેમાં ભાજપના રાજકોટ દક્ષિણ બેઠકથી ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળા તેમના મતવિસ્તારમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી માટે હાલ પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતના સૌથી ધનિક ઉમેદવાર રમેશ ટીલાળાએ તેમના મતવિસ્તારમાં પદયાત્રા કરી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ડીજેના તાલે અને ફટાકડાની આતશબાજી સાથે કાર્યકર્તાઓ રમેશ ટીલાળાને ફુલોથી વધાવતા જોવા મળ્યા હતા. પાંચ દિવસમાં રમેશ ટીલાળાએ 25 કિમીથી પણ વધારે પદયાત્રા કરી લોકો પાસે ભાજપને મત આપવાની અપીલ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન: અત્યાર સુધી સમાજ સેવા કરતો હતો હવે રાજકારણમાં રહીને લોક સેવા કરીશ-રમેશ ટીલાળા
Tv9 સાથેની વાતચીતમાં રમેશ ટીલાળાએ કહ્યું હતું કે અત્યાર સુધી મેં અનેક સામાજિક સંસ્થાઓમાં રહીને જન સેવાનું કામ કર્યું હતું અને હવે હું રાજકારણમાં આવીને જન સેવા કરીશ લોકોના પ્રશ્નોને વાચા આપીશ મારા મત વિસ્તારમાં બે ટર્મથી ભાજપનું શાસન હોવાથી મોટાભાગના પ્રશ્નો હલ થયા છે તેમ છતાં કોઈ પ્રશ્નો હશે તો તે પૂરા કરીશ.
ગુજરાત વિધાનસભા ઈલેક્શન: પાટીદારો અને ભાજપ એક સિક્કાની બે બાજુ-રમેશ ટીલાળા
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીમાં પણ પાટીદાર ઉમેદવારો મેદાને છે, આ અંગે રમેશ ટીલાળાએ કહ્યું હતું કે પાટીદારો અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. પાટીદારો હંમેશા ભાજપ સાથે રહે છે. હું સર્વ સમાજને સાથે લઈને ચાલનારો વ્યક્તિ છું એટલે તમામ લોકો ભાજપ સાથે જ રહેશે.
ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: આજી રિવરફ્રન્ટ પ્રાથમિકતા રહેશે-રમેશ ટીલાળા
રમેશ ટીલાળાએ કહ્યું હતું કે રાજકોટના સર્વાંગી વિકાસ માટે તમામ કામો કરવામાં આવશે, રાજકોટના ડ્રીમ પ્રોજેક્ટ એવા રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટનું કામ ઝડપથી શરૂ કરી દેવામાં આવશે.