Surat : વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપાની કસરત, ત્રણ દિવસ નિરીક્ષકો ઇચ્છુક દાવેદારોને સાંભળવા આવશે સુરત
ત્રણ દિવસ સુધી સંભવિત ઉમેદવારોની સુનાવણી કરવામાં આવશે અને ત્યારબાદ સંસદીય બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવશે. વર્તમાન ધારાસભ્યોમાંથી કોણ ફરી ઉમેદવારી નોંધાવે છે અને કોણ નહીં તેના પર સૌની નજર રહેશે.
ભારતીય જનતા પાર્ટીના(BJP) ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સુરતમાં(Surat ) 27 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણી એક જ સિસ્ટમ(System ) દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. પક્ષના વરિષ્ઠ નેતાઓને નિરીક્ષક તરીકે પસંદ કરીને તે જિલ્લાઓમાં મોકલવામાં આવે છે. વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે હવે દરેક પાર્ટીઓમાં ઉમેદવારોની પસંદગીનો દોર શરૂ કરવામાં આવશે. તેમાં પણ સત્તાધારી પક્ષ ભાજપમાં ટિકિટ મેળવવા ઘણા ઉમેદવારો આ વખતે મેદાનમાં દેખાઈ રહ્યા છે.
ઓબ્ઝર્વર ત્રણ દિવસ રોકાશે
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને માત્ર આમ આદમી પાર્ટીએ જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ કે ભાજપે હજુ સુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. ભાજપના નિરીક્ષકો 27, 28 અને 29 ઓક્ટોબરે ઉમેદવારોને સાંભળશે. ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં નિરીક્ષકો ટીકીટ ઇચ્છતા તમામ સંભવિત ઉમેદવારોને સાંભળી રહ્યા છે.
નિરીક્ષકો રિપોર્ટ તૈયાર કરશે
ત્રણ દિવસ સુધી સંભવિત ઉમેદવારોની સુનાવણી કરવામાં આવશે અને ત્યારબાદ સંસદીય બોર્ડને રિપોર્ટ સોંપવામાં આવશે. વર્તમાન ધારાસભ્યોમાંથી કોણ ફરી ઉમેદવારી નોંધાવે છે અને કોણ નહીં તેના પર સૌની નજર રહેશે. નિરીક્ષકોની સામે કેટલા નવા ચહેરા ટિકિટની માંગણી કરશે તે જોવું રસપ્રદ રહેશે.
મળતી માહિતી પ્રમાણે ભાજપના પ્રદેશ નિરીક્ષકો સુરત શહેરની તમામ 12 બેઠકો માટે દાવેદારોને સાંભળશે. આ માટે ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પહેલી ટિમ પ્રથમ છ વિધાનસભા માટેના દાવેદારોને સાંભળશે. જેમાં લક્ષ્મણ કોરાટ, વિરલ ગિલીટવાળા, નલિની બારોટ, રક્ષા સોલંકી, ભાવના પટેલ અને આર.કે.લાઠીયા હશે. તે જ પ્રમાણે ટિમ બે માં પંકજ દેસાઈ, ભીખુ પટેલ, સ્મિતા ભટ્ટ , રાજેંદ્ર પાટીલ બાકીની પાંચ વિધાનસભાના દાવેદારોને સાંભળશે. જયારે બાકીના દાવેદારો માટે મનુ પટેલ, શૈલેષ જરીવાલા, સુમિત્રા પટેલ, દેવિકા જાળવણી અને પ્રદીપસિંગ રાજપૂત રહેશે.
પહેલા દિવસે ચોર્યાસી, મજુર, ઉધના, વરાછા, કરંજ અને કતારગામ, બીજા દિવસે સુરત પશ્ચિમ, લીંબાયત, સુરત પૂર્વ અને સુરત ઉત્તરના દાવેદારોને સાંભળવામાં આવશે. નજીકના સમયમાં જિલ્લાના દાવેદારોને સાંભળવા માટેની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે.