Gujarat Election 2022: ભાજપ અધ્યક્ષે અપક્ષ ઉમેદવારી કરનારા 7 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા
નારાજ કાર્યકરોમાં કેટલાક નેતાઓ હતા, કેટલાક જિલ્લા મોરચાના પ્રમુખ પણ હતા. આ તમામ નારાજ કાર્યકરોએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી. અપક્ષમાંથી દાવેદારી નોંધાવતા પહેલા આ તમામમાંથી કોઇએ ભાજપમાંથી (BJP) રાજીનામું નહોતુ આપ્યુ.
ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામ જ્યારે જાહેર કરવામાં આવ્યા ત્યારે કેટલાક દાવેદારી કરનારા ઉમેદવારોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમના સ્થાને ભાજપે અન્ય ઉમેદવારોને ટિકિટ આપતા નારાજગી જોવા મળી હતી. આ નારાજ કાર્યકરોમાં કેટલાક નેતાઓ હતા, કેટલાક જિલ્લા મોરચાના પ્રમુખ પણ હતા. આ તમામ નારાજ કાર્યકરોએ અપક્ષમાંથી દાવેદારી નોંધાવી હતી. અપક્ષમાંથી દાવેદારી નોંધાવતા પહેલા આ તમામમાંથી કોઈએ ભાજપમાંથી રાજીનામું નહોતુ આપ્યુ. તેવા સાત લોકોને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.
ગુજરાત ચૂંટણી 2022: સાત હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા
સસ્પેન્ડ કરવામાં આવેલા સાત હોદ્દેદારોની વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો જુનાગઢ જિલ્લાના કેશોદ બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર અરવિંદ લાડાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધ્રાંગધ્રાથી છત્રસિંહ અને પાલડીથી કેતન પટેલને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્યથી ભરત ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામને ભાજપમાંથી રાજીનામું આપ્યા સિવાય જ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવાને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાત ચૂંટણી 2022: કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રુપાલાએ આપી હતી ચેતવણી
ભાજપના ઘણા દિગ્ગજો ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. જો કે આ વચ્ચે ટિકિટ ન મળતા અનેક કાર્યકરો નારાજ હતા અને વિરોધ નોંધાવી રહ્યા હતા, ત્યારે આવા કાર્યકરોને પરસોત્તમ રુપાલાએ ચેતવણી આપી છે અને સમજાવ્યુ છે કે જો તેઓ નહીં સમજે તો પક્ષ તેમના સામે કાર્યવાહી કરશે.
વડોદરાના પાદરામાં ભાજપે ઉમેદવાર તરીકે ચૈતન્યસિંહ ઝાલાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે તેમના પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા પાદરા વિસ્તારમાં પહોંચ્યાં હતા. પ્રચાર કરવા આવેલા કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ નારાજ કાર્યકરોને ચેતવણી આપી હતી. તેમણે ગત રાત્રે પાદરાના નવાપુરામાં સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે- જે પાર્ટી સાથે નહીં રહે તેને સમજાવવામાં આવશે અને નહીં માને તો તેની સામે પાર્ટી ધોરણસરની કાર્યવાહી કરશે. તેમણે કાર્યકરોને અપીલ કરતા કહ્યું કે- જનસમુદાયની ભાવનાને સમજીને પક્ષને જીતાડવા કામે લાગી જાય. મહત્વનું છે કે, પાદરા બેઠક પર ટિકિટ ન મળતાં પાર્ટીના ઘણા કાર્યકરો નારાજ હતા.